નિવૃત કર્મચારીઓના મેડિક્લેમને લઈને આરોગ્ય મંત્રી માંડવિયાએ એવું જણાવ્યું કે સરકાર નિવૃત કર્મચારીઓને મેડિક્લેમ ચુકવી આપશે. તેમણે કહ્યું કે કોઈ પણ જાતની તપાસ વગર 500 રુપિયા સુધીનો મેડિક્લેમ સરકાર ચુકવી આપશે.
પીએમ મોદીની લીડરશીપમાં દેશમાં સુધરી આરોગ્ય સેવાઓ
માંડવિયાએ કહ્યું કે પીએમ મોદીની લીડરશીપમાં દેશમાં આરોગ્ય સેવાઓ સુધરી છે. તેમણે કહ્યું કે સરકારે રિટાયર કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને 500 રુપિયા સુધીના ક્લેમ પર તપાસ વગર ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.
પટણામાં સીજીએચએસની નવી ઓફિસનું ઉદ્ઘાટન
રવિવારે પટણામાં એડિશનલ ડિરેક્ટર સીજીએચએસની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સીજીએચએસ લાભાર્થીઓની સમસ્યાઓ સાંભળવા અને હલ કરવા અધિકારીઓને જિલ્લા અને બ્લોક સ્તરે પંચાયત યોજવાની સૂચના આપવામાં આવી છે.
પટણા એઈમ્સમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક કરાશે
આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓ અને સંભાળ સામાન્ય જનતા માટે સુલભ અને સસ્તી થઈ ગઈ છે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, પટણા એઈમ્સમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક સ્થાપિત કરવામાં આવશે અને આઇસીયુ તથા સીસીયુ 150 પથારીની હશે.
દરેક જિલ્લામાં ઓલ્ડ એજ હોમ શરુ કરશે સરકાર
ઘરમાંથી કાઢી મુકાયેલા વૃદ્ધોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવી યોજનાની જાહેરાત કરશે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખોલવા માંગે છે, જેથી વૃદ્ધોને ત્યાં રહેવાની જગ્યા મળી શકે. સરકાર દ્વારા શરુ થનારા એજ ઓલ્ડ હોમમાં વૃદ્ધોને મફતમાં રહેવા અને જમવાની સગવડ પૂરી પાડવામાં આવશે.
પહેલા તબક્કામાં 250 જિલ્લાઓની ઓળખ કરાઈ
પ્રથમ તબક્કામાં સરકારે વૃદ્ધાશ્રમ ખોલવા માટે 250 જિલ્લાઓની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં સરકાર સ્થાનિક એનજીઓની મદદથી વૃદ્ધોને રહેવાની સગવડ પૂરી પાડશે.
પછાત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ યોજનામાં પણ થશે ફેરફાર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે છેલ્લા આઠ વર્ષમાં તેમના મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સરકાર વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમની યોજના તૈયાર કરી રહી છે. આ ઉપરાંત પછાત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી યોજનાઓમાં પણ ફેરફાર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે, કારણ કે આવી યોજનાઓ અંગે અનેક ફરિયાદો ઉઠી છે.