ઉનાળાની સિઝનમાં પહેલી વખત અમદાવાદીઓને ઓરેન્જ એલર્ટ સાથે પનારો પડવાનો છે, 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે.
વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2023
રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન ઉનાળાની સિઝનમાં પહેલી વખત અમદાવાદીઓને ઓરેન્જ એલર્ટ સાથે પનારો પડવાનો છે. 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબોની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં ગઈકાલે બુધવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. એસ.ટી બસે અડફેટે લેતા4 લોકોના મોત નીપજ્યાં છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, કલોલમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે 4 લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે.નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જાતીય સતામણીના કેસમાં પાસાનો અમલ અવગણવો. ભાગવાના કે સહમતિથી સંબંધમાં પાસાને અવગણવો. જમીનના નવા કેસમાં ગુનોગારોનો ઈતિહાસ ચકાસ્યા બાદ અમલ કરવો. કેસ સમાધાન પર હોય, FIR રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી.
નવસારીમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી હડકંપ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પોલીસ ક્વાર્ટર્સ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા મૃતક સંજય પટેલ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હોવાનું સામે આવ્યું હતું. જેથી બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સંજય પટેલ પીએસઓ અને બીટ જમાદાર તરીકે ફરજ બજાવતા હતા.
ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી છે. શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે 68 નવી સ્કૂલોને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી સ્કૂલો શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળે છે. જે પૈકી માત્ર 68 જેટલી સ્કૂલોને જ નવી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ખાનગી સ્કૂલો શરૂ થાય છે, જેમાં આ વખતે વધુ 68 જેટલી સ્કૂલોને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. મંજૂર થયેલી સ્કૂલોમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે. ગુજરાતમાં નવી ખાનગી માધ્યમિક સ્કૂલોનને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 68 નવી ખાનગી સ્કૂલોને વિવિધ માપદંડોના આધારે બોર્ડ દ્વારા મંજૂરી અપાઇ છે. આ વર્ષે રાજ્યભરમાંથી 234 જેટલી નવી ખાનગી માધ્યમિક સ્કૂલો માટેની અરજી વિવિધ ટ્રસ્ટો દ્વારા કરાઈ હતી. જેમાંથી 68 અરજીઓ મંજૂર કરાઈ છે, જ્યારે 166 અરજીઓને ફગાવી દેવામાં આવી છે.
દાહોદ જિલ્લા કોર્ટે પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દાહોદમાં કોર્ટ બન્યા પછી પ્રથમ આરોપીને ફાંસીની સજા ફટકારી હોય તેવી ઘટના સામે આવી છે. તળાવ ફળિયામાં વર્ષ 2020માં પોક્સોના ગુના અંતર્ગત કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનું કૃત્ય આચરનાર શખ્સને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2020માં કૌટુંબિક મામાએ 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી તેમજ પુરાવાના નાશ કરવા માટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. જે હત્યાં બાદ મૃતદેહને ઝાડી ઝાંખરામાં નાંખી દીધું હતું જે મામલે પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઉંડી તપાસ હાથ ધરતા આરોપીએ ગુનો કબુલ્યું હતું તેમજ તે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પણ ખુલ્યું હતું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2023
5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતની વિવિધ કમિટીઓ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં 25 વકીલો ચૂંટાયા છે ત્યારે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન ભાજપ પ્રેરિત સમરસ પેનલના વડોદરાના ધારાશાસ્ત્રી નલિન પટેલ બન્યા છે અને સુરતના ધારાશાસ્ત્રી હિતેશ પટેલ વાઈસ ચેરમેનના પદે ચૂંટાયા હતા.શિસ્ત સમિતીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાની વરણી કરવામાં આવી હતી. વકીલોએ નવનિયુક્ત હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ તો નવનિયુક્ત ચેરમેન નલિન પટેલે વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાય સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. એકસિક્યુટીવ કમિટીનાં ચેરમેન તરીકે જીતેન્દ્ર ગોલવાળા બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણીમાં સમરસ પેનલનો 24માં વર્ષે પણ દબદબો યથાવત જોવા મળ્યો છે.
ગુજરાત બાર કાઉન્સિલનાં નવા ચેરમેન પદે નલિન પટેલની વરણી, વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલ, ચૂંટણીમાં સમરસ પેનલનો 24માં વર્ષે પણ દબદબો#vtvgujaratipic.twitter.com/wELFX50sHD
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2023
અરબી સમુદ્રમાં બનેલા ચક્રવાત 'મોચા' એ એક ભયંકર વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે. આ તરફ હવે આંદામાન અને નિકોબારમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવાર બપોર સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે કે, ચક્રવાત 'મોચા' કયા માર્ગો પરથી પસાર થશે. હવામાનશાસ્ત્રીઓના મતે તે બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચક્રવાતને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. ગુરુવારે આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે. હવામાન વિભાગે દરિયા કિનારે ઘણી જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. આંદામાનમાં બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતમોચા શુક્રવાર, 12 મે સુધીમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેને લઈ પવનની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા હતા. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. 5,500 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. અહીં જનસભાને સંબોધતા પીએમ મોદીએ અશોક ગેહલોતને પોતાના મિત્ર ગણાવ્યા. તો આ પહેલા અશોક ગેહલોતે કહ્યું કે, અમારી વચ્ચે કોઈ દુશ્મની નથી. તે માત્ર વિચારધારાની લડાઈ છે. જોકે ERCP પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવતા ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનના 13 જિલ્લામાં પીવાના પાણીની કટોકટી છે. આના પર પીએમ મોદીએ કહ્યું કે, જો પાણીની સમસ્યા પહેલા હલ થઈ ગઈ હોત તો જલ જીવન મિશનની જરૂર ન પડી હોત.ભારત સરકાર રાજ્યના વિકાસથી લઈને દેશના વિકાસના મંત્રમાં માને છે. રાજસ્થાન દેશના સૌથી મોટા રાજ્યોમાંનું એક છે, રાજસ્થાન ભારતની બહાદુરી, ભારતની ધરોહર, ભારતની સંસ્કૃતિનું વાહક છે. રાજસ્થાનનો જેટલો વિકાસ થશે તેટલી જ ભારતનો વિકાસ ઝડપી બનશે. PMએ કહ્યું, આજે દેશમાં તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે, કામ અભૂતપૂર્વ ગતિએ ચાલી રહ્યું છે. રેલવે હોય, હાઈવે હોય કે એરપોર્ટ હોય, ભારત સરકાર દરેક ક્ષેત્રમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે.
Prime Minister Narendra Modi dedicates and lays the foundation stone of infrastructure projects worth over Rs 5,500 crores in Nathdwara, Rajasthan. pic.twitter.com/7T7EfZ4p1n
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે. આ સાથે જ ભાજપની વિદાયના સંકેત દેખાઈ રહ્યા છે. 224 બેઠકો ધરાવતા કર્ણાટકમાં કોંગ્રેસને 122થી 140 બેઠકો, ભાજપને 62થી 80 અને જેડીએસને 20થી 25 બેઠકો મળી રહી છે. જ્યારે 3 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાજપને 19માંથી 16 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસના ખાતામાં 3 સીટો જઈ શકે છે. મધ્ય કર્ણાટકમાં કોંગ્રેસને 23માંથી 12 બેઠકો મળવાની આશા છે. ભાજપના ખાતામાં 10 બેઠકો આવી શકે છે. અહીં એક સીટ જેડીએસના ખાતામાં જઈ શકે છે.જો આપણે જૂના મૈસુર પ્રદેશમાં વોટ ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસને 40 ટકા વોટ શેર મળી શકે છે. તે જ સમયે, બીજેપીને 25 ટકા અને જેડીએસને 28 ટકા અને અન્યને 7 ટકા વોટ ટકાવારી મળી શકે છે. અહીં 64 બેઠકોમાંથી કોંગ્રેસને 36, ભાજપને 6 અને જેડીએસને 18 બેઠકો મળી શકે છે. 4 બેઠકો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.
વિશ્વની સૌથી મોટી સુપર પાવર યુએસ પ્રમુખ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વખત તેમના મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. તેઓએ 22 જૂન, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. જેમાં રાજ્ય રાત્રિભોજનનો સમાવેશ થશે. તેમાં વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમા જાહેર કરાયુ છે. મહત્વનું છે કે બંને નેતાઓ છેલ્લીવાર નવેમ્બરમાં મળ્યા હતા. આ આમંત્રણ ને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાય છે. મહત્વનું છે કે આવી મુલાકાત દેશમાં અને રાજ્યમાં થતી મુલાકાત કરતા સંપૂર્ણપણે અલગ હોય છે. આવી મુલાકાત દરમિયાન ઘણા વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. નોંધનીય છે કે જી-20 સમીત સહિતના ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પીએમ મોદીને જૂન મહિનામાં આમંત્રણ અપાયું છે. અત્રે ઉલ્લેખની છે કે મુલાકાત થાય તો પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ની ડીનર પાર્ટી આ ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે. આ આગાઉ મોદી સપ્ટેમ્બર 2021મા અમેરિકાની મુલાકાતે ગયા હતા.
Prime Minister Narendra Modi will embark on an Official State Visit to the United States of America, which will include a state dinner on June 22, 2023, following an invitation from US President Joseph Biden and First Lady Jill Biden: Ministry of External Affairs pic.twitter.com/8qsgsoz2up