જીએસટી રેટમાં વધારો થશે અને તેના કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે એવા અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું છે કે જીએસટી રેટમાં હાલ કોઇ ફેરફાર નહીં થાય. તેમણે જણાવ્યું કે સરકારનું હાલ વપરાશ વધારવા પર છે અને તેથી એવા પગલાં ભરી રહી છે કે જેથી લોકોના હાથમાં સીધા નાણાં પહોંચે અને હાલ કોઇ પણ ચીજવસ્તુ મોંઘી થશે નહીં.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન
જીએસટી રેટમાં હાલ કોઇ ફેરફાર નહીં થાય
હાલ કોઇ પણ ચીજવસ્તુ મોંઘી થશે નહીં
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને 'ઇન્ડિયા ઇકોનોમિક કોન્કલેવ'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્બોધન કરતા આવું જણાવ્યું હતું. ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે એવી આશા વચ્ચે આ કોન્કલેવમાં નાણાપ્રધાને ઇકોનોમીના સ્લો ડાઉન, બેરોજગારી, જીએસટી કલેક્શનમાં ઘટાડો અને રાજ્યોની જીએસટી વળતરને લઇને સવાલોના જવાબ આપ્યા હતા.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સતત ઘટતા જતા જીડીપી ગ્રોથને લઇને સરકાર પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કઇ રીતે શક્ય બનાવશે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરી રહી છે. સરકાર મરેગા અને પીએમ કિસાન યોજનાને પ્રોત્સાહિત કરી રહી છે, જેથી કન્ઝ્યુમરના હાથમાં નાણાં આવે.
ઘટતા જતા જીએસટી કલેક્શનના જવાબમાં તેમણે જણાવ્યું કે આપણા મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ મજબૂત છે અને કેન્દ્ર રાજ્યોને જીએસટી વળતર આપવા માટે ઇન્કાર કરશે નહીં. મહારાષ્ટ્ર અને કેરળની જેમ કેટલાંય રાજ્યોએ જીએસટી વળતર જલદી ચૂકવવાની ડિમાન્ડ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે હું સ્વીકારું છું કે હજુ રાજ્યોને વળતર અપાયું નથી, પરંતુ ટેક્સ કલેક્શનમાં ઘટાડાના કારણે આવું થયું છે. સરકાર હાલ આંકડાની વિશ્વસનીયતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.