મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, 10 જિલ્લાના 2,22,487 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા 408 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે.
ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, ધોલેરા, નવસારી સહિતની જગ્યાઓએ વરસાદે હાહાકાર મચાવ્યો હતો. જળપ્રલયના કારણે લાખો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ મળી કુલ ૧૮ જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, 10 જિલ્લાના 2,22,487 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા 408 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. રાજયનાં 5 જિલ્લામાં 632 લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ દેવામાં આવેલ છે. ભારે વરસાદને પરિણામે રાજ્યભરમાં 8400 ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ હતી તે પૈકી 8342 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. 58 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે જે સત્વરે પૂર્વવત કરાશે. અત્યાર સુધીમાં 59448 નાગરિકોને 102 જેટલા વિવિધ આશ્રયસ્થાનોમાં સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એન.જી.ઓ. તથા જનભાગીદારી થકી 8,09,870 જેટલા ફુડ પેકેટ્સનું પણ વિતરણ તથા સ્થાનિક કક્ષાએ જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
પટેલે કહ્યું કે, ભારે વરસાદથી અસર પામલા જિલ્લાઓમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં 24 એનડીઆરએફ અને 11 એસડીઆરએફની ટીમો દ્વારા શ્રેષ્ઠ રાહત બચાવની કામગીરી કરી છે. નવસારી, નર્મદા, ભરૂચ, વલસાડ, સરત, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, ખેડા, મોરબી, કચ્છ અને અમદાવાદમાંથી 1080 નાગરિકોને રેસ્ક્યુ દ્વારા બચાવાયા છે. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા પણ નવસારી, સુરત, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લામાં નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હતા એ 195 નાગરિકોને એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે અને બાકીના લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવી લેવાયા છે.