ભારતમાં તહેવારોના સીઝનની શરૂઆત થઇ રહી છે અને કોરોનાકાળમાં પહેલીવાર આ રીતે તહેવારો ઉજવાઈ રહ્યા છે ત્યારે ડુંગળીના ભાવે ભારતીયોને રડાવ્યા છે .આસમાને પહોંચેલા ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે મોટો નિર્ણય કર્યો છે.
થોડા જ દિવસોમાં આસમાને પહોંચ્યા ડુંગળીના ભાવ
સરકારે ડુંગળીની આયાતના નિયમોમાં છૂટ આપી
ગયા મહીને જ સરકારે ડુંગળીની નિકાસ રોકી દીધી હતી
જોકે હવે સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા નિર્ણય કર્યો છે. તહેવારોની સીઝનમાં ભાવ પર અંકુશ લાવવા માટે સરકારે ડુંગળીની આયાતના નિયમોમાં છૂટ આપી છે. સાથે જ કિંમતો પર અંકુશ લગાવવા માટે બફર સ્ટોકથી વધારે ડુંગળીને બજારમાં ઠાલવવા નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિવિધ મોટા શહેરોમાં ભારતમાં ડુંગળી 60થી 80 રૂપિયાની વચ્ચે વેચાઈ રહી છે. જોકે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાં ભારે વરસાદને કારને પુરવઠામાં આવેલ અવરોધના કારણે બધી જગ્યા પર ભાવમાં વધારો આવ્યો છે.
અત્યારે રવિ પાકની ડુંગળીઓ વેચાઈ રહી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં નવા પાકની ડુંગળીઓ બજારમાં આવી જશે. મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધારે ડુંગળી ઉત્પાદક રાજ્ય છે, નાસિકમાં ડુંગળીની કિંમતો 66 રૂપિયાને પાર જતી રહી છે. એક વર્ષ પહેલા આ જ સમય પર ડુંગળી 35 રૂપિયાના ભાવ પર વેચાઈ રહી હતી. નોંધનીય છે કે છેલ્લા મહિનામાં જ સરકારે ડુંગળીની કિંમતો પર રોક લગાવવા માટે નિકાસ પર રોક લગાવી દીધી હતી.