કંડલા પોર્ટની નજીક આહિર સોલ્ટ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL)ના જેટ્ટી પ્રોજેક્ટને પરવાનગીનો વિવાદનો અહેવાલ VTVGujarati.com પર પબ્લિશ થયા બાદ હવે ગુજરાત સરકારે સમગ્ર પ્રોજેક્ટ પર હાલ પૂરતી રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મીઠા ઉત્પાદનની જમીનમાંથી 95 એકરની જમીનને પોર્ટમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપવાની પ્રોસેસને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
VTVGujarati.com પર ખાનગી જેટ્ટીને મંજૂરી મામલે થયો હતો ખુલાસો
ગેરકાયદેસર રીતે ખાનગી જેટ્ટીને મંજૂરી આપ્યા હોવાનો સરકાર પર આરોપ
હવે આ સમગ્ર પ્રોજેક્ટ પર હાલ પૂરતી રોક લગાવવા આદેશ
જેટ્ટીની મંજૂરી પર હાલ પૂરતી રોક
કંડલા પોર્ટ પર આહીર સોલ્ટ એન્ડ એલાઈડની પ્રાઈવેટ જેટ્ટીને મંજૂરી આપવાના વિવાદ મામલે VTVGujarati.comના અહેવાલ બાદ સરકારે સમગ્ર મામલાને હોલ્ડ પર મૂકવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં 95 એકર મીઠાની જમીનને પોર્ટમાં ફેરવવાની તથા જેટ્ટીની મંજૂરીની પ્રોસેસને પણ હાલ રોકી દેવાઈ છે. ઉચ્ચ અધિકારીના હવાલેથી જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટમાં ઘણાં વિવાદ હતાં જેના પગલે હાલ પૂરતો તેને હોલ્ડ પર મૂકી દેવાયો છે.
ભ્રષ્ટાચારના આરોપ બાદ સરકારનો નિર્ણય
સરકારના ઉચ્ચ અધિકારીએ VTVને જણાવ્યું કે તેમાં ઘણા બધા કારણો છે જેથી સરકારે હાલ તેના પર રોક લગાવવા નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભ્રષ્ટાચાર અને ગેરરીતીના આરોપ તથા કચ્છના સિટિંગ મિનિસ્ટર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાનો પણ સમગ્ર મામલામાં હાથ હોવાના આરોપ બાદ હવે સરકારને ભાન થયું કે 'વિવાદિત પ્રોજેક્ટ' સાથે આગળ વધારવો હિતાવહ નથી. કંડલા પોર્ટ અને શિપિંગ મિનિસ્ટ્રીએ આહિર સોલ્ટના જેટ્ટીના પ્રોજેક્ટ અંગે ફરીથી વાંધા ઉઠાવ્યા છે અને રાજ્ય સરકારને કહ્યું છે કે જેટ્ટીને આપવામાં આવેલી પરવાનગી કાયદેસર નથી.
સમગ્ર મામલા સાથે જોડાયેલ એક અધિકારીએ કહ્યું કે, ''જ્યારે જેટ્ટીને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે કંડલા બંદર દ્વારા ઉઠાવેલા આકરા વાંધા અંગે મુખ્યમંત્રીના ધ્યાનમાં ન હતું કે જેટ્ટીના કારણે કેન્દ્ર સરકાર હસ્તગત પોર્ટને નુકસાન થઇ શકે છે''
મહત્વનું છે કે VTVGujarati.comને સૂત્રો તરફથી માહિતી મળ્યાં મુજબ રાજકીય નેતાઓ અને અધિકારીઓનું એક ચોક્કસ જૂથ આહિર ગ્રુપની તરફદારી કરીને તેમની મદદ કરી રહ્યું હતું અને કંડલા પોર્ટે આ જેટ્ટીની પરવાનગી સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે આ સમગ્ર મામલે અહેવાલ પ્રકાશિત થયા બાદ સરકારે આ પ્રોજેક્ટ પર હાલ પૂરતી રોક લગાવવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે જેટ્ટીની મંજૂરી અંગે vtvgujarati.com પર ખુલાસો કરવામાં આવ્યો હતો જેમાં આક્ષેપો છે કે આ પ્રાઈવેટ જેટ્ટીની પરવાનગી ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે. મીઠાના ઉત્પાદન માટે આપેલી જમીનમાંથી અમુક હિસ્સાને જેટ્ટી માટે આપી દેવાતા સરકાર અને ખાનગી કંપની વચ્ચે કોઈ સાંઠગાંઠ હોવાના આરોપો લાગ્યા બાદ હવે સરકારે તેના પર હાલ રોક લગાવી દેવાનો નિર્ણય કર્યો છે.
શું છે સમગ્ર મામલો અને વિવાદ?
સમગ્ર મામલા વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે આહિર સોલ્ટ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને (ASAPPL) કંડલા પોર્ટની ખૂબ નજીક એક જેટ્ટી બનાવવાની પરવાનગી આપી છે જેમાં લીકવીડ અને ડ્રાય સ્ટોરેજ ટર્મિનલની સુવિધા હશે. અહીં કુલ 44 ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે જેની કુલ ક્ષમતા 92488 કિલો લીટર હશે.આ પ્રોજેક્ટ માટે આહિર સોલ્ટે જે 1317.56 એકર જમીન ગુજરાત સરકાર પાસેથી મીઠાના ઉત્પાદન માટે લીઝ માટે લીધી હતી અને તે વિસ્તારમાંથી 94.56 એકર જમીન જેટ્ટીના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. આ મામલે હવે કંડલા પોર્ટે આ ખાનગી જેટ્ટી બનાવવાની મંજૂરી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ મૂકી વિરોધ નોંધાયો છે આમ છતાં ગુજરાત સરકાર આહિર ગ્રુપને સતત બચાવવામાં વ્યસ્ત છે જેથી આ મામલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવા સમાચાર સુત્રો તરફથી મળ્યાં હતાં.
શું છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના આક્ષેપો?
DPTના જણાવ્યા મુજબ તેમને ASAPPL તરફથી વારંવાર આ કથિત જેટ્ટી મુદ્દે વાત કરવામાં આવી હતી અને દીનદયાળ પોર્ટના વિસ્તારમાંથી પેસેજ આપવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી. જયારે થોડા સમય પહેલા DPTને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી સત્તાવાર સુચના મળી હતી. DPTની દલીલ છે કે આ જેટ્ટીના નિર્માણ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જરૂરી છે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડે લીધી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હસ્તક પોર્ટની જગ્યાની અંદર બીજો એક પોર્ટ બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે નથી. આ જેટ્ટીની આખી જગ્યા DPTની જમીનની અંદર આવે છે. આ ઉપરાંત તેમને કોઈ વોટર ફ્રન્ટ મેળવવાનો પણ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે ભારત સરકારની પાર્લામેન્ટરી કમિટીના નિવેદનને પણ ટાંક્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે બે પોર્ટની વચ્ચે ઓછામાં ઓછા 100 કિમીનું અંતર હોવું જોઈએ. આ કિસ્સામાં તેનું ઉલ્લંઘન થાય છે.