કેન્દ્ર સરકાર કોવિડ 19ના પ્રાઇવેટ હોસ્પિટલ અને લેબમાં ટેસ્ટિંગના ભાવો ઉપર વધુ લગામ લગાવવાનો નિર્ણય કરવાનું વિચારી રહી છે જેથી વધુ સંખ્યામાં દર્દીઓને ટેસ્ટિંગ પોસાઈ શકે. માર્ચમાં સરકારે ટેસ્ટિંગને મફત કરવાની ભલામણ કરી હતી ત્યાર બાદ તેની ઉપર મહત્તમ 4500 રૂપિયા પ્રતિ ટેસ્ટની લગામ લગાવી હતી.
જો કે Indian Council of Medical Research (ICMR)એ મે મહિનામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે તેઓ તેમની પ્રાઇવેટ લેબ સાથે ચર્ચા કરીને બંને સહમત થાય તેવો ભાવ રાખે. જૂન મહિનામાં ફરીથી આ મુદ્દે ચર્ચા થઇ કે પહેલા ટેસ્ટિંગ કીટ બહારથી આયાત કરવામાં આવતી હતી જેના બદલે અત્યારે ટેસ્ટિંગ કીટ ભારતમાં જ બને છે. આથી ટેસ્ટિંગનો ભાવ હજુ વધારે ઘટાડવામાં આવે. હાલ દિલ્હી અને મહારાષ્ટ્રએ કોરોનાના ટેસ્ટનો મહત્તમ ભાવ 2200 રૂપિયા પ્રતિ ટેસ્ટ રાખ્યો છે. ગુજરાતમાં આ ભાવ 2500 રૂપિયા છે. પરંતુ ICMR એવી યોજના ઘડી રહી છે કે આખા ભારતમાં એક ફરજીયાત ઓછો ભાવ લાગુ કરી શકાય.
ICMRના ડાયરેક્ટર જનરલે આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ટેસ્ટિંગ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાઇવેટ લેબની ફૂલ કેપેસીટીમાં ટેસ્ટિંગ કરવામાં આવે અને તમામ લોકો માટે ટેસ્ટિંગના ભાવમાં સમાનતા હોય તે જરૂરી છે. નોંધનીય છે કે ICMRએ અત્યાર સુધી 1065 લેબને કોરોનાના ટેસ્ટિંગની મંજૂરી આપી છે જેમાંથી 768 સરકારી લેબ્સ છે જયારે 297 પ્રાઇવેટ લેબ્સ છે. તેઓ થોડા સમયમાં નવી કીટ્સને પણ મંજૂરી આપવાના છે.
દિલ્હીના એક ખાનગી લેબ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે લેબના માલિકો પણ વધુને વધુ લોકોના ટેસ્ટ કરી શકાય તેના પક્ષમાં છે. સુપ્રીમ કોર્ટ પણ વધુ ટેસ્ટિંગ થાય તેના પક્ષમાં છે. પરંતુ ICMRએ એ ધ્યાન રાખવું પડશે કે ખાનગી લેબને પણ ભાવ પોસાય અને તેઓ ઓપરેટ થઇ શકે.
ભારતમાં અત્યારે 4,18,112 કોરોનાના દર્દીઓ રિકવર થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 14,856 દર્દીઓ રિકવર થયા છે. ભારતમાં એક્ટિવ કેસ કરતા રિકવર થયેલા કેસની સંખ્યા 170619 વધુ છે. આમ દેશના કુલ કેસમાંથી 60.77% કેસ રિકવર થઇ ગયા છે.