સત્તાવાર સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે, 'સરકારે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેના અંતરાલનો સમય નથી ઘટાડ્યો.'
વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેના અંતરમાં કોઇ જ ફેરફાર નહીં
અગાઉ મીડિયા અહેવાલમાં ટાઈમ ગેપ 6 મહિના કર્યા હોવાનો દાવો કરાયો હતો
દેશમાં છેલ્લાં કેટલાંય દિવસોથી સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ
કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેના અંતરાલનો સમય નથી ઘટાડ્યો. એટલે કે બે ડોઝ વચ્ચેના અંતરમાં સરકારે કોઇ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. તમને જણાવી દઇએ કે, અગાઉ ટાઈમ ગેપ 9 મહિનાથી 6 મહિના કર્યા હોવાનો દાવો કરાયો હતો.
Government of India has not reduced the time gap for 'precaution dose' of COVID19 vaccine from nine months to six months: Official sources
6 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવવાથી ઇમ્યુન રિસ્પોન્સ વધી જાય છે - ICMR
અગાઉ ICMR અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓએ સલાહ આપી હતી કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના 6 મહિના બાદ એન્ટિબોડીનું સ્તર ઓછું થઇ જાય છે. આવી સ્થિતિમાં હાલમાં બુસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બીજા ડોઝના 9 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી છે.
જાણો શા માટે જરૂરી છે બુસ્ટર ડોઝ?
કોરોના રસીનો બુસ્ટર ડોઝ સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે. 29 માર્ચે, રાજ્યસભામાં આરોગ્ય રાજ્યમંત્રી, ડૉ. ભારતી પવારે જણાવ્યું હતું કે કોવેક્સિનના બુસ્ટર ડોઝના પ્રભાવને તપાસવા માટે ICMR એ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં કોરોના વિરૂદ્ધ એન્ટિબોડી વધવાની વાત સામે આવી હતી. તેઓએ કહ્યું હતું કે, એસ્ટ્રાજૈનેકા અથવા તો કોવિશિલ્ડના ત્રીજા ડોઝ અંગે જે આંતરરાષ્ટ્રીય ડેટા સામે આવ્યા છે તે મુજબ આ રસીના ત્રીજા ડોઝ બાદ એન્ટિબોડીઝમાં 3થી 4 ગણો વધારો થયો છે.
અગાઉ અદાર પૂનાવાલાએ પણ બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવા કહ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ SII ના CEO અદાર પૂનાવાલાએ પણ કહ્યું હતું કે, 'બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.' દેશમાં ધીરે-ધીરે કોરોનાથી રાહત મળી રહી હતી એ દરમિયાન હવે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ કે જેમાં બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનો તફાવત છે. જેને ઘટાડવા ખુદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં આજે કોરોનાના નવા 3,688 કેસ તો 50નાં મોત
અત્રે તમને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના કેસ 3 હજારને પાર જઇ રહ્યાં છે. ત્યારે આજે પણ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,688 દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,684 થઈ ગઈ છે. કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં દેશમાં 50 લોકોના મોત થયા છે જેથી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 5,23,803 થઇ ગઇ છે.
દેશમાં કુલ મૃત્યુઆંક 5,23,803 એ પહોંચ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,684 એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,803 એ પહોંચ્યો છે. આ સાથે જ દેશમાં 4,25,33,377 લોકો કોરોના સામેની લડાઇ જીત્યા છે. તો દેશમાં અત્યાર સુધીમાં 188,89,90,935 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈ કાલે 22,58,059 ડોઝ આપવામાં આવ્યા હતાં. તમને જણાવી દઇએ કે, દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયું હતું.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે કોરોના સંક્રમણના 3377 દર્દીઓ નોંધાયા હતાં. આ સંદર્ભને જોતા દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. એટલે કે હવે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.74 ટકા થઈ ગયો છે. આ સાથે દેશમાં છેલ્લાં 24 કલાકમાં, 2755 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી લીધી છે. હાલમાં દેશમાં કોરોનાને હરાવનાર કુલ દર્દીઓનો ગ્રાફ 4,25,33,377 પર પહોંચી ગયો છે. જો આપણે કોરોનાના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો દેશમાં આ દર 0.74 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવીટી દર વધીને 0.66 ટકા થઈ ગયો છે.