રોડ એક્સીડેન્ટને રોકવા માટે સરકાર ટાયરોની ક્વોલિટી બદલવા જઇ રહી છે. આ ઉપરાંત ટાયરોમાં નાઇટ્રોજન ભરવાને ફરજિયાત કરવામાં આવી શકે છે. સરકારના આંકડા અનુસાર 2015 થી લઇને 2017 સુધી દરરોજ રોડ અકસ્માતમાં 400 લોકોના મોત થઇ જાય છે. એમાં સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં થાય છે.
મોદી સરકાર હવે વાહનચાલકોની સુરક્ષા માટે અને માર્ગ અકસ્માતો ઘટાડવા એક નવો પ્લાન લઇને આવી છે. સરકાર હવે ખાસ કરીને એક્સપ્રેસ વે પર દુર્ઘટનાઓ રોકવા માટે વાહનોના ટાયરમાં સિલિકોન અને નાઇટ્રોજનનો ઉપયોગ ફરજિયાત કરશે.
ટાયરો ફાટવાની શક્યતા ખૂબ જ ઓછી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ વધતા જતા માર્ગ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરતાં આ નવા પ્લાન અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે સરકારે માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે ટાયરના ઉત્પાદનમાં રબરની સાથે સિલિકોન મિક્સ કરવા અને ટાયરમાં નાઇટ્રોજન ભરવા માટે ફરજિયાત જોગવાઇ કરવાની આવશ્યકતા છે. તેનાથી ટાયર ઠંડાં રહેશે અને ફાટવાનો ખતરો રહેશે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ટૂંક સમયમાં એક નીતિ જાહેર કરશે.
યમુના એક્સપ્રેસવે રાષ્ટ્રીય રાજમાર્ગ નથી
ગડકરીએ જણાવ્યું હતું કે યમુના એક્સપ્રેસ વે સિમેન્ટ અને કોંક્રીટનો બનેલો છે. આથી હાઇ સ્પીડમાં વાહનો લાંબું અંતર કાપવાથી તેનાં ટાયર ગરમ થઇને ફાટી જાય છે. તેથી ટાયરના ઉત્પાદનમાં રબર સાથે સિલિકોનનો ઉપયોગ કરવાની જરૂર છે, જેથી ટાયરને ઠંડાં રાખી શકાય. એ જ રીતે સામાન્ય હવા ભરવાના બદલે ટાયરમાં નાઇટ્રોજન ફરજિયાત કરવાનું અમે વિચારી
રહ્યા છીએ.
ગઇ કાલે લખનૌથી દિલ્હી આવી રહેલી એક બસ યમુના એક્સપ્રેસ વે પર દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને આ ઘટના પર ગૃહમાં સંવેદના વ્યક્ત કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે જે રીતે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતો વધી રહ્યા છે તે જોતાં ટેકનિકમાં સુધારા કરવાની આવશ્યકતા છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતો રોકવા ઝડપની મર્યાદા ઘટાડવી તે એકમાત્ર ઉકેલ નથી, પરંતુ તેની સાથે આપણે ટેકનિકમાં સુધારો કરીએ તો અકસ્માતો ઘટી શકે.