દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા માટે દેશમાં તબક્કાવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર અનુસાર આ લોકડાઉનનો ફાયદો પણ થયો. એવામાં લોકડાઉનના ચોથા ચરણ બાદ વધુ છૂટછાટ મળવાની સંભાવના છે. જોકે આ લોકડાઉનમાં કોરોનાના હોટસ્પોટ શહેરોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
મન કી બાતમાં PM મોદી લોકડાઉન મુદ્દે કરી શકે છે ચર્ચા
અમદાવાદ સહિત 11 શહેરો પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે
સરકાર રાજ્ય સરકારને લોકડાઉન મુદ્દે આપી શકે છે સત્તા
વધુ છૂટછાટની સંભાવના
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને જ્યાં લોકડાઉનનું ચોથું ચરણ સમાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં પણ લોકડાઉન મુદ્દે વાત કરી શકે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે હવે દેશના 11 શહેરોને છોડીને બાકીના દેશમાં લોકડાઉનમાં વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે.
દેશના અમુક શહેરોમાં સૌથી વધુ સંક્રમણ
ભારતમાં કોરોના વાયરસના કહેરને જોતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જોકે દેશના અમુક શહેરોમાં કોરોના વાયરસનો કહેર કેન્દ્રિત જોવા મળી રહ્યો છે. એવામાં હવે કોરોનાનું ઓછું સંક્રમણ હોય તેવા વિસ્તારોમાં વધારાની છૂટછાટ આપવામાં આવી શકે છે. દેશના 11 શહેરો કે જ્યાં કોરોના વાયરસનો તાંડવ સૌથી વધુ છે તેવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતા પર સરકાર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કારણ કે આ શહેરોમાં જ દેશના કુલ કેસના 70 ટકા કેસ નોંધાયા છે.
અમદાવાદ અને સુરતમાં વધતો કહેર
ગુજરાત દેશભરમાં સંક્રમણના મામલે ટોચના રાજ્યોમાં સામેલ છે. એમાય અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ સાબિત થયું છે તેથી જે અમદાવાદ અને સુરત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. નોંધનીય છે કે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા અને મુંબઈમાં જ કુલ કેસના 60 ટકા કેસ છે તેથી અહિં વધુ છૂટ મળવાની સંભાવના નથી.
ધાર્મિક સ્થળો અને જિમ પર આવશે નિર્ણય !
ભલે દેશમાં લોકડાઉન ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યું હોય પરંતુ સંક્રમણનો ખતરો ઓછો થયો નથી તેથી નાગરિકોને કોરોનાથી બચવાના નિયમોનું પાલન તો કરવું જ પડશે. દેશના ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે જેમાં માસ્ક અને એકબીજાથી સામાજિક અંતર જાળવવાનું રહેશે. કંટેનમેન્ટ ઝોનને છોડીને સલૂન અને જિમ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે સ્કૂલ-કોલેજ તથા મલ્ટિપલેક્સને કોઈ છૂટ ન મળે તેવી શક્યતા છે.