આરોગ્ય વિભાગે લોકોમાં ગંભીર બીમારીની જેમ ફેલાઈ રહેલી મોબાઈલ ફોનની લત છોડાવવા માટે એક નવી અસરકારક યોજના બનાવી છે.
સરકારના આ ‘સુપર પ્લાન’ હેઠળ દરેક જિલ્લા હોસ્પિટલમાં જનકક્ષની સ્થાપના કરવામાં આવશે, જેમાં મનોચિકિત્સક અને કાઉન્સેલરની ટીમ મોબાઈલની આદત છોડવાની સલાહ આપશે. આ યોજનાની શરૂઆત રાજધાની દિલ્હીથી કરવામાં આવશે અને પ્રયોગ સફળ રહ્યા બાદ તેને દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે.
આજકાલ લોકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જે અનેક રીતે હાનિકારક સાબિત થઈ શકે છે. મોબાઈલમાંથી નીકળતા રેડિએશનથી ગંભીર બીમારીઓ થવાનું પણ જોખમ છે. આ માટે હવે જિલ્લા હોસ્પિટલમાં જનકક્ષ બનાવીને લોકોને અનોખી રીતે આ લતથી બચાવવાનો પ્લાન અમલી બનાવાયો છે.
તબીબો અને મનોચિકિત્સકોનું કહેવું છે કે, હવેના નાના બાળકના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લેવામાં આવે તો તે એકદમ આક્રમક બની જાય છે અને કેટલાંક કિસ્સામાં તો તે હિંસક વર્તન પણ કરે છે. આ મોબાઈલના વધુ પડતા ઉપયોગનું જ પરિણામ છે, જે ધીમે ધીમે લતમાં ફેરવાઈ જાય છે. કેટલાંક લોકો પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તે આત્મહત્યા કરવાની ધમકી પણ આપે છે.
આવા ગંભીર કેસ આવે ત્યારે કાઉન્સેલર તેમની મનોસ્થિતિ સમજીને તેમને સલાહ આપશે અને ધીમે ધીમે મોબાઈલની લતથી દૂરકરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બેથી પાંચ વર્ષના બાળકને એક કલાકથી વધુ સમય સુધી મોબાઈલ આપવો એ ખતરનાક સાબિત થઈ શકે છે. તબીબો તો નાના બાળકોને મોબાઈલ ફોનના બદલે અન્ય કોઈ પણ રમત કે પ્રવૃત્તિ કરાવવાની સલાહ આપે છે.
મનોચિકિત્સકોના કહેવા પ્રમાણે, જો તમે દિવસના આઠથી 12 કલાક સુધી મોબાઈલ ફોન પર વ્યસ્ત રહો છો તો તમે ગંભીર લત ધરાવો છે અને જલ્દીથી તમારે સાઈકિયાટ્રિસ્ટની સલાહ લેવાની જરૂર છે.