સરકાર દિવાળી જેવા આગામી તહેવારોમાં સ્કૂટર, બાઈક જેવાં દ્વિચક્રી વાહનોનાં (ટુ વ્હીલર) ભાવ ઘટાડનાર છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (GST) કાઉન્સિલ દ્વિચક્રી વાહનો પર GST ઘટાડવા માટે ઉદ્યોગના પ્રસ્તાવને આગળ વધારશે.
સામાન્ય લોકો માટે ખુશખબર છે. સરકાર દિવાળી જેવા આગામી તહેવારોમાં સ્કૂટર, બાઈક જેવાં દ્વિચક્રી વાહનોનાં (ટુ વ્હીલર) ભાવ ઘટાડનાર છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (GST) કાઉન્સિલ દ્વિચક્રી વાહનો પર GST ઘટાડવા માટે ઉદ્યોગના પ્રસ્તાવને આગળ વધારશે. કારણ કે હવે દ્વિચક્રી વાહનો એ લકઝરી નથી કે ન તો અહિતકારી સાધન (ડી મેરિટ ગુડ) છે.
ટુ વ્હીલર્સ પર હાલ ર૮ ટકા GST લાગે છે
ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત બાદ સરકારને એ વાતનો અહેસાસ થયો છે કે ટુ વ્હીલર પર GSTના પ્રવર્તમાન દર ઘણા ઊંચા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટુ વ્હીલર્સ પર હાલ ર૮ ટકા GST લાગે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમને ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝનાં સૂચન બાદ પોતાનાં આ નિવેદન દ્વારા એવો સંકેત આપ્યો છે કે હવે ટુ વ્હીલર્સ પર GST ઘટાડવામાં આવશે. તેને પગલે તેની કિંમતમાં પણ ઘટાડો થશે.
GST ઘટાડવાનું ટુ વ્હીલર્સ ઇન્ડસ્ટ્રીઝનું સૂચન ખૂબ સારું: નાણામંત્રી
૧૯ સપ્ટેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠક પૂર્વે નાણાં પ્રધાનનું આ નિવેદન ઘણું સૂચક છે. GST ઘટાડવાના ટુ વ્હીલર્સ ઇન્ડસ્ટ્રીઝનાં સૂચન પર નાણાં પ્રધાને જણાવ્યું છે કે વાસ્તવમાં આ એક સારું સૂચન છે અને GST કાઉન્સિલની બેઠકમાં તેના પર વિચારણા થઇ શકે છે. નાણાં પ્રધાને આ વાત ઇન્ડસ્ટ્રી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) સાથેની વાતચીત દરમિયાન કરી હતી.
આગામી તહેવારો દરમિયાન ટુ વ્હીલર્સની ડિમાન્ડ વધશે
નાણાં પ્રધાને CIIને ખાતરી આપી હતી કે GST ઘટાડવાનું તેમનું સૂચન યોગ્ય છે અને આ માટે GST કાઉન્સિલની બેઠકમાં GST દર સુધારવા પર વિચારણા કરવામાં આવશે. જો ટુ વ્હીલર્સ પર GST ઘટાડવામાં આવશે તો આગામી તહેવારો દરમિયાન ટુ વ્હીલર્સની ડિમાન્ડ વધશે અને તેના વેચાણમાં વધારો થશે. હાલ લોકડાઉન અને કોરોના વાઇરસના કારણે ટુ વ્હીલર્સનું વેચાણ ઘટી ગયું છે.
હાઇવે પર કોઇ પણ વાહનની અવરજવર પર ફાસ્ટેગ અનિવાર્ય
દરમિયાન હાઇવે પર પ્રવાસ કરતા લોકો માટે એક મહત્ત્વના સમાચાર છે કે કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને લઇને ટોલટેકસના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે હાઇવે પર કોઇ પણ વાહનની અવરજવર પર ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવેલ છે.
સરકારે હવે એવો નિયમ બનાવ્યો છે કે હવે માત્ર ર૪ કલાકમાં પરત ફરનાર ફાસ્ટેગવાળાં વાહનોને ટોલટેકસમાં ડિસ્કાઉન્ટ મળશે. જો તમે કેશ પેમેન્ટ કરીને ટોલટેકસ ચૂકવશો તો ર૪ કલાકમાં પરત આવશો તો પણ ટોલટેકસમાં રાહત નહીં મળે, પરંતુ જો ફાસ્ટેગ લાગેલ હશે તો ટોલટેકસમાં ડિસ્કાઉન્ટ મળશે.