કેન્દ્ર સરકારનું સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. એવામાં વિપક્ષોએ અગાઉ યોજના બનાવી છે તે મુજબ તમામ મોરચે સરકારને ઘેરવાનું નક્કી કર્યું છે.
આ સંદર્ભે વિપક્ષ દ્વારા સરકારને આકરા સવાલો પૂછવામાં આવી રહ્યા છે જેના જવાબો આપવા સરકાર મજબૂર બની છે. એવામાં સરકારે એક અતિ અગત્યના સવાલનો જવાબ આપ્યો છે.
2015થી 2019 દરમિયાન 38 જેટલા બેંક ફ્રોડ કરેલા આરોપીઓ ભારત છોડીને ભાગી ગયા
સરકારે સ્વીકાર્યું છે કે CBIના આંકડા પ્રમાણે 2015થી 2019 દરમિયાન 38 જેટલા બેંક ફ્રોડ કરેલા આરોપીઓ ભારત છોડીને ભાગી ગયા છે. આ પૈકી 20 લોકો સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટીસ જારી કરવા માટે ફાઈલ કરવામાં આવી છે અને 14 લોકો માટે એક્સ્ટ્રાડિશન રીક્વેસ્ટ મોકલવામાં આવી છે. જયારે 11 લોકો સામે ફ્યુજીટિવ ઇકોનોમિક એક્ટ હેઠળ એપ્લિકેશન આપવામાં આવી છે.
સરકારે શું પગલા લીધા છે?
આ ઉપરાંત સરકારે જણાવ્યું છે કે Fugitive Economic Offenders Act 2018 અનુસાર આવા ભાગેડુઓની સંપત્તિની જપ્તી કરવાના અને તેમને કોઈ સિવિલ દાવા કરવાના હકથી વંચિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે પબ્લિક સેક્ટર બેંકના અધિકારીઓને 50 કરોડથી વધુ લોન માંગતી કંપનીઓના પ્રમોટર્સ અથવા ડિરેક્ટર્સના પાસપોર્ટની સર્ટિફાઈડ કોપીઝ લઇ લેવાનું સૂચન કર્યું છે.
કઈ બેંકોના કેટલા રૂપિયા NPA?
જો કે સરકારે આ 38 લોકોના નામોનો ઉલ્લેખ કર્યો નથી પણ આ સુચિમાં મુખ્યત્વે વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી, સાંડેસરા ભાઈઓ, જતીન મહેતા, આશિષ જોબનપુત્રા, સભ્ય સેઠ વગેરે જેવા ભાગેડુઓનો સમાવેશ થાય છે તેવી શક્યતા છે.
વિજય માલ્યા:
એક સમયે પોતાની ભવ્ય જીવન શૈલી માટે જાણીતા વિજય માલ્યા સામે અલગ અલગ 17 ભારતીય બેંકો દ્વારા 9000 કરોડની લોન લીધાનો આક્ષેપ છે. આ વિવાદની વચ્ચે માલ્યા 2016માં ભારત છોડીને લંડન ભાગી ગયો. તેની કિંગ ફિશર એર લાઈન્સ પણ દેવાળિયું ફૂંકી ગઈ છે. માલ્યાનો દાવો છે કે તે બધી લોન ભરપાઈ કરવા તૈયાર છે બીજી બાજુ ભારત સરકાર તેને દેશમાં પાછો લાવવા ધમપછાડા કરી રહી છે જો કે UKની કાયદાકીય ગુંચમાં વર્ષોથી તેણે ભારત પાછો લાવવો એક સમસ્યા બનીને રહી ગઈ છે.
મેહુલ ચોક્સી:
ગીતાંજલિ ગ્રુપનો માલિક મેહુલ ચોક્સી અત્યારે કાયદાની નજરોથી ભાગીને એન્ટીગ્યુઆ રહે છે. મેહુલે તેના ભત્રીજા નીરવ મોદીની સાથે પંજાબ નેશનલ બેંકમાં તોતિંગ 13000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. સરકારે તેના ફ્લેટો, ઓફિસો, જમીનો જેવી પ્રોપર્ટી જપ્ત કરી છે પણ મેહુલ પોતે હજી ભાગેડુ છે.
નીરવ મોદી:
Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ મોદી સામે ઇન્ટરપોલની નોટીસ છે. આ ભાગેડુ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડના કૌભાંડનો સહઆરોપી છે. આ ઉપરાંત તેણે કેલીફોર્નિયા રાજ્યમાં પણ 4.2 મિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. 2018માં દેવાળિયા જાહેર થવાની અરજી કરી ચુકેલો નીરવ હજુ પણ સરકારની પકડની બહાર છે. તેની પણ 1400 કરોડ જેટલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.
સાંડેસરા ભાઈઓ:
સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક નીતિન સાંડેસરા અને તેમના ભાઈ ભાભી ચેતન અને દીપ્તિ સાંડેસરા સામે 300 જેટલી શેલ કંપનીઓ બનાવીને 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ છે. ભૂતકાળમાં આ કેસમાં વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર અને હાલના BSF DG રાકેશ અસ્થાનાનું નામ પણ ચર્ચાયું હતું. હાલ સાંડેસરા પરિવાર નાઈજીરિયામાં રહે છે અને તેમને નાઈજીરિયાથી ભારત લાવવા ખૂબ મુશ્કેલ છે.
જતીન મહેતા:
નીરવ મોદીની જેમ જતીન મહેતા પણ ગુજરાતના પાલનપુર જીલ્લ્લાનો છે. તે Winsome group નામની ડાયમંડ કંપની ચલાવતો હતો જે રફ ડાયમંડમાંથી જ્વેલરી બનાવીને તેને UAEમાં વેચતો હતો. આ માટે તે બુલિયન બેંકો પાસેથી સોનાના સ્વરુપમાં લોન લેતો હતો. આ લોનના કોલેટરલ માટે તેણે ભારતીય બેંકોના નામ આપેલા હતા. લાંબા સમય સુધી વ્યવસ્થિત કામ કરનાર જતીને અચાનક 2012માં જાહેર તેના UAEના 13 ખરીદારોને ખૂબ નુકશાન ગયું છે આથી તે બુલિયન બેંકોને રૂપિયા ચૂકવી શકશે નહીં. આથી તેના ખરાબાના 7000 કરોડ રૂપિયા ભારતીય બેંકોએ ચુકવવા પડ્યા. જતીને 7000 કરોડની લોન માટે ફક્ત 250 કરોડના કોલેટરલ રાખ્યા હતા. આ રૂપિયામાં PNBએ સૌથી વધુ 1700 કરોડનો ફટકો પડ્યો છે.
બાદમાં CBI, EDની તપાસમાં માલૂમ પડ્યું કે UAEના આ 13 ખરીદારો એ જતીનના મળતિયાઓ હતા અને જતીને રૂપિયા પડાવી લેવા આ કૌભાંડ આચર્યું હતું. જો કે ત્યાં સુધી ઘણો સમય વીતી ચુક્યો હતો અને જતીન તેના પરિવાર સાથે વેસ્ટ ઇન્ડીઝ ભાગી ગયો હતો. અત્યારે જતીન વેસ્ટ ઇન્ડીઝમાં તેનો પોતાનો ધંધો કરે છે અને ભારતના કાયદાથી દુર જલસા કરે છે.
આશિષ જોબનપુત્રા:
2017માં અમદાવાદની ઈમ્પોર્ટ ટેક્સટાઇલ કંપની ABC Cotspinના પ્રમોટર્સ આશિષ જોબનપુત્રા અને પત્ની પ્રીતિ જોબનપુત્રા સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.
800 કરોડના ફ્રોડ કેસમાં કંપનીએ SBI અને બેંક ઓફ બરોડા સાથે કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ છે. આશિષ જોબનપુત્રા એક્સપોર્ટ કરવાના નામે ખોટી લોન્સ અને ડિસ્કાઉન્ટ બેંક પાસેથી અપૃવ કરાવી રહ્યો હતો જયારે વાસ્તવિકતામાં તેણે કોઈ એક્સપોર્ટ કર્યા નહોતા. અત્યારે દંપતિ લોસ એન્જેલીસમાં રહે છે તેમ કહેવાય છે.
સભ્ય સેઠ:
2018માં CBIએ સભ્ય સેઠ, રીતા સેઠ, ક્રિશ્ના કુમાર સિંહ અને રવિ સિંહ સામે કેસ દાખલ કર્યો હતો.
તેમની કંપની દ્વારકા સેઠ ઇન્ટરનેશનલ ઉપર આક્ષેપ છે કે તેમણે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી 2007થી 2012 વચ્ચે 389 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને આ લોનનો ઉપયોગ તેઓ સોનું અને અન્ય કિંમતી પથ્થરોની ખરીદી માટે કરતા હતા. આ પછી તેઓ તેને ગેરકાયદેસર રીતે વિદેશ પહોંચાડી દેતા હતા.
2015થી સભ્ય સેઠ દેશ છોડીને દુબઈમાં રહે છે તેવા અહેવાલો છે.
લલિત મોદી:
દેશમાં IPL શરુ કરવા માટેના સૌથી કેન્દ્રીય વ્યક્તિ લલિત મોદી સામે BCCIમાં આર્થિક ગોટાળા કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા બાદ તેની સામે EDની તપાસ શરુ થાય તે પહેલા તે લંડન ભાગી ગયો હતો. 2013માં તેની ઉપર વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત રાજેની હોટલ કંપનીમાં શેલ કંપનીની મદદથી કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. તેની સામે ઇન્ટરપોલની નોટીસ હોવા છતાં તેના ઇન્ટરપોલના પૂર્વ ચીફ રોનાલ્ડ નોબલ સાથેના વ્યાપારી સંબંધો બહાર આવ્યા હતા.