નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હજીપણ ઘર્ષણ યથાવત છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને વારંવાર પરત ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે. જો કે, સરકારે ખેડૂત સંગઠનોને આગામી 30 ડિસેમ્બરના રોજ વાતચીત માટે બોલાવ્યા છે.
નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હજીપણ ઘર્ષણ યથાવત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ કાયદાને લઇને જે જુઠ્ઠાણાની દિવાલ તૈયાર થઇ છે તે ખૂબ ઝડપથી પડવાની છે.
સંયુક્ત ખેડૂત મોરચાને લઇને લખ્યો પત્ર
કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલે સંયુક્ત ખેડૂત મોરચાને પત્ર લખીને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. અગ્રવાલે પત્રમાં લખ્યું સંયુક્ત કિસાન મોરચા દ્વારા 26 ડિસેમ્બરના કરવામાં આવેલ ઇમેલમાં સરકાર સાથેની આગામી બેઠક માટે સૂચના આપવામાં આવી છે. આ બેઠક 30 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 2 વાગે વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી સ્તરીય સમિતિની સાથે યોજાશે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત વચ્ચે ઝુઠ્ઠાણાની દિવાલને આયોજન પૂર્વક ફેલાવામાં આવી છે. પરંતુ તે લાંબો સમય સુધી નહીં ટાલે અને વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોને ઝડપથી સચ્ચાઇનો અહેસાસ થશે.
પહેલી જાન્યુઆરીએ દેશભરમાં પ્રદર્શન કરાશે
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો હવે આંદોલનને વધુ તેજ બનાવવા જઈ રહ્યા છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે પણ નવા વર્ષમાં દેશભરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોએ કહ્યું પહેલી જાન્યુઆરીએ દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે, ખેડૂતોએ કહ્યું કે અમારી ઈચ્છા છે કે દરેક વ્યક્તિ ખેડૂતોના પક્ષમાં ઊભો થાય.
શું છે કાર્યક્રમ
આ સાથે જ ખેડૂતોએ એલાન કર્યું કે દેશના કેટલાય શહેરમાં હવે રેલી કરવામાં આવશે. આવતીકાલે પટના અને થનજાવૂરમાં ખેડૂતો રેલી કરશે અને 30મી તારીખે મણિપુર અને હૈદરાબાદ હલ્લાબૉલ કરવામાં આવશે. નોંધનીય છે કે ખેડૂતોએ 25 અને 27 ડિસેમ્બરના રોજ ટોલ પ્લાઝા ફ્રી કરાવવાનો પ્લાન બનાવ્યો હતો જે હવે અનિશ્ચિત કાળ સુધી ફ્રી કરાવવામાં આવશે. 30 ડિસેમ્બરના રોજ કુંડલી-માનેસર-પલવલ હાઇવે પર પણ ટ્રેક્ટર રેલી કાઢવાનું આયોજન બનાવવામાં આવ્યું છે.
વારંવાર મદદનું અપાઇ રહ્યું છે આશ્વાસન
હાલમાં પંજાબની કીર્તિ કિસાન કાર્યક્રમના નેતા મુંબઈમાં આયોજિત ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા. ભારતીય ખેડૂત યૂનિયનના ખેડૂત નેતા ૨૯ ડિસેમ્બરે બિહારની રાજધાની પટણામાં આયોજિત થનારા ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ રણનીતિનાં સકારાત્મક પરિણામ આવી રહ્યાં છે. અન્ય રાજ્યનાં ખેડૂત સંગઠન તેમના સંપર્કમાં છે અને આંદોલનમાં તમામ શક્ય મદદનું આશ્વાસન આપી રહ્યાં છે.
ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટી તરફથી અપાયેલી જાણકારી અનુસાર ડિસેમ્બર અંત સુધી આ રણનીતિ પર કામ કરાશે. રણનીતિના આધારે નક્કી કરાયું છે કે ખેડૂત કાયદાના વિરોધમાં આ ખેડૂતો દેશનાં ૧૫થી વધારે રાજ્યનાં ૫૦૦ શહેરો સુધી પહોંચી શકે છે. આ સ્થાન પર ખેડૂત સંગઠનો કાર્ય કરવામાં લાગ્યાં છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગઇકાલે સાંજે સિંધુ બોર્ડર પહોંચીને ખેડૂતોની મુલાકાત કરી હતી. તે એક મહિનામાં બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા. તેમની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હતા. ખેડૂતોને મળીને કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને ખેડૂતો સાથે ઓપન ડિબેટ કરવાનો પડકાર આપું છું. આનાથી સ્પષ્ટ થઈ જશે કે આ કાયદો કેવી નુકસાન પહોંચાડશે.