અમદાવાદની 55 સોસાયટીઓના રહીશો કબજો નિયમિત કરવા માટેની રકમ નહીં ભરતા હવે શ્રીસરકાર દાખલ કરવામાં આવશે. કબજેદાર પાસેથી રૂ.17 કરોડ 31 લાખ લેવાના નીકળ છે. જો કે હજુ પણ રકમ જમા ન કરવામાં આવતા લોકોએ મકાન ખાલી કરવા પડશે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે અમદાવાદની પંચાવન જેટલી રહેણાંક સોસાયટીઓનો કબજો તેના કબ્જેદાર એવા રહેવાસીઓ પાસેથી લઇ લેવાનું નક્કી કર્યું છે. શહેરી જમીન ટોચ મર્યાદા ધારાની જમીનો પર બનેલી સોસાયટીના મકાનો હવે સરકાર હસ્તક બનશે. સરકારે આ મકાનોના માલિકીહક્કો અને કબજાને નિયમિત કરવા માટે જાહેર કરેલી યોજના હેઠળ રકમ જમા નહીં થતાં હવે આ સોસાયટીઓમાં શ્રીસરકાર દાખલ થશે.
કુલ 1686 કબજેદારોએ નિયમિતપણે રકમની ભરપાઇ ન કરતા કાર્યવાહી થશે. અમદાવાદમાં આવા 1700 મકાન પર સરકાર કબજો કરશે. જેમાં મણીનગરમાં 27 સોસાયટીઓની 748 મિલકતો જપ્ત થશે. જ્યારે વટવાની 8 સોસાયટીની 352 મિલકતો જપ્ત કરાશે. ઉપરાંત ઘાટલોડિયાની 2 સોસાયટીની 10 મિલકતો અને સાબરમતીની 1 સોસાયટીની 11 મિલકતો પણ સરકાર હસ્તક કરી દેવાશે.
સમયમર્યાદામાં રકમ નહીં ભરતાં અને તેના ઉપર બીજો છ મહિનાનો સમય વહી જતાં હવે આ મિલકતો સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયો છે. આ મિલકતોને નિયમિત કરવાની જાહેરાત 2016માં કાયદામાં સુધારા દ્વારા કરાઇ હતી. કબ્જેદારોના ભોગવટા હેઠળની જમીનના ક્ષેત્રફળના પ્રમાણમાં જંત્રીના અનુસંધાને સરકારમાં રકમ જમા કરાવીને મકાન નિયમિત કરાવા માટેની આ યોજના જાહેર થઇ હતી.