મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના હજીરાથીથી બ્રાંદ્રા સુધી ક્રૂઝ શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ખાનગી કંપની દ્વારા 300 મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝની શરૂઆત કરશે.
ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં દર ગુરૂવારે સાંજે 7 વાગે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે 9 વાગે આ જહાજ સુરતના હજીરા પહોંચશે અને પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે 6 વાગે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે 8 વાગે બ્રાંદ્રા પહોંચશે. આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજ-ઘોઘા ફેરી સર્વિસની શરૂઆત કરાવી હતી.