હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો કે રાહતદરે જમીન લેતી ખાનગી હોસ્પિટલો દર્દીઓને સારવાર આપવામાં કેમ ઠાગાઠૈયા કરે છે. સરકારના કહ્યામાં કેમ નથી? આ આદેશ બાદ આજે
આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડીને એવો આદેશ કર્યો છે કે, ખાનગી હોસ્પિટલમાં સરકારી દરે જ દર્દીની સારવાર થશે. એટલુ જ નહીં, 20થી વધુ પથારી હોય તેવી ખાનગી હોસ્પિટલ-નર્સિગ હોમ્સમાં કોરોનાના દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશે.
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યસરકારનો નિર્ણય
ખાનગી હોસ્પિટલોને 50 ટકા બેડ ખાલી રાખવા પડશે
રાજય આરોગ્ય વિભાગે લીધો નિર્ણય
ગુજરાતમાં અત્યારે કોરોનાની ચિંતાજનક સ્થિતી ઉભી થઇ છે. કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યાં છે.મૃત્યુદર પણ અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં વધુ છે. આ પરિસ્થિતીને જોતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય આરોગ્ય વિભાગ અને ભાજપ સરકારનો રીતસરનો ઉધડો લીધો હતો ત્યારબાદ રાજ્ય આરોગ્ય વિભાગ જાણે સક્રિય થયુ છે.
ખાનગી હોસ્પિટલોને શું શું પાલન કરવું પડશે
રાજ્ય આરોગ્ય વિભાગે ધ એપિડેમિક ડિસિઝ એક્ટ-1897 મુજબ પરિપત્ર જાહેર કર્યો છે જેમાં એવો આદેશ કરાયો છે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિગ હોમ્સ કે જયાં 20થી વધુ પથારી હોય. આ બધીય હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 50 ટકા અલગ બેડ રાખવાના રહેશે. એટલું જ નહીં, આ 50 ટકા બેડમાં દર્દીઓ સરકારી દરે સારવાર મેળવી શકશે. આ વિશે આયોજન કરવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં 42 ખાનગી હોસ્પિટલોમાં સરકારી દરે બેડ
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેરમાં 42 ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં સરકારી દરે બેડ નક્કી કરીને કોરોનાના દદીઓને સારવાર મળી રહે તે માટે આખુય આયોજન કરાયુ છે પણ એવી ફરિયાદો ઉઠી છે કે,ખાનગી હોસ્પિટલોમાં સરકારી દરે કેટલાં બેડ ખાલી છે તે વિશે લોકોને જાણકારી જ નથી. ખાનગી હોસ્પિટલોને જાણે દદીઓને લૂંટવાનો પરવાનો મળ્યો હોય તેમ સરકારી દર પોષાય તેમ નથી. આ કારણોસર ખાનગી હોસ્પિટલમાં સરકારી દરે દર્દીની સારવાર કરવા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ છે,
ગુજરાતની સ્થિતિ દયનીય
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસની સંખ્યા વધીને 15,572 થઇ ગઈ છે. સારવાર બાદ 8003 લોકો સાજા થયા છે. રાજ્યમાં 6599 એક્ટિવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં કુલ 960 લોકોના મૃત્યુ થયા છે