ભારત છોડીને પાકિસ્તાન કે ચીન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિનું વેચાણ કરીને 1 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિષય ગુજરાતને પણ લાગુ પડ્યો છે.
ભારત છોડીને પાકિસ્તાન કે ચીન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિનું કરાશે વેચાણ
ગુજરાતમાં 146 સંપત્તિ મળી આવી છે
આઝાદી સમયે જુનાગઢનો પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય ખુબ જ જાણીતો છે. આ સાથે જ અન્ય જિલ્લાઓ જેવા કે, કચ્છ, બનાસકાંઠા અને પાટણનો સંબંધ પણ પાકિસ્તાન સાથે જોડાયેલ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલ અનુસાર, ગુજરાતમાં એવી 146 મિલકત છે જેની કિંમત 1 હજાર કરોડ થવા જાય છે.
146 સંપત્તિનું કરાશે વેચાણ
આ તમામ મિલકતો પર શત્રુ સંપત્તિ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ગૃહમંત્રાલય તેના વેચાણ અંગે પગલા ભરશે. નોંધનીય છે કે, કચ્છમાં 5, રાજકોટમાં 94 અમદાવાદમાં 18, પંચમહાલમાં 14 અને જૂનાગઢમાં 15 સંપત્તિઓ એવી છે જેના માલિકો પાકિસ્તાન કે ચીન ચાલ્યા ગયા છે. આ તમામ સંપત્તિને ટાંચમાં લઇને તેના વેચાણની કાર્યવાહી કરવામાં આવશે.
એનીમી પ્રોપર્ટી એકટ 1968
ઉલ્લેખનીય છે કે, 1965માં ભારત-પાક. યુદ્ધ બાદ એનીમી પ્રોપર્ટી એકટ 1968માં લાગુ કરવામાં આવેલ. ત્યારબાદ છેક 2017માં તેમાં એમેન્ડમેન્ટ લવાયું હતું એટલે કે સુધાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ગૃહ મંત્રાલયમાં યોજાયેલ ખાસ બેઠક દરમિયાન આવી પ્રોપર્ટી અંગેના સર્વેની માહિતી આપવામાં આવેલ. જે પૈકી ગુજરાતમાં 146 મિલકત ગુજરાતમાં એવી છે જેની સામે કાર્યવાહી કરવામાં આવશે.