જો તમે સોનાનાં દાગીના ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી સોનાનાં દાગીના ખરીદવાનો નિયમ બદલાઈ જશે. લાંબો સમય રાહ જોયા બાદ કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયે સોના-ચાંદીના દાગીનાના હૉલમાર્કિંગને મંજૂરી આપી દીધી છે. જે 1 જાન્યુઆરીથી લાગુ થશે.
કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલય હૉલમાર્કિંગને આપી મંજૂરી
હૉલમાર્કિંગ 1 જાન્યુઆરીથી લાગુ થશે
સરકારના આ નિર્ણયથી જ્વલેરી ઉદ્યોગ પર થશે અસર
ભારત સૌથી વધુ સોનું ઈમ્પોર્ટ કરતો દેશ
કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલય આ સપ્તાહે આ અંગે નોટિફિકેશન જાહેર કરી શકે છે. જોકે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં હૉલમાર્કિંગ લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી જ્વલેરી ઉદ્યોગ પર મોટી અસર જોવા મળશે. પણ ગ્રાહકોને તેનાથી ફાયદો પણ થશે. અત્યારે માત્ર 40 ટકા દાગીનાને જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે. ભારત સૌથી વધુ સોનું ઈમ્પોર્ટ કરતો દેશ છે, જે મુખ્ય રીતે જ્વેલરી ઉદ્યોગની જરૂરિયાતને પૂરી કરે છે. ભારત દર વર્ષે 700-800 ટન સોનું ઈમ્પોર્ટ કરે છે.
અનિવાર્ય હૉલમાર્કિંગને મંજૂરી
આ સાથે જ ગામડાઓ સુધી પહોંચવા માટે સરકાર એક વર્ષનો સમય આપશે. આ દરમિયાન સરકાર જ્વેલર્સ પર કોઈ કાર્યવાહી નહીં કરે. સોનાના દાગીનાની હૉલમાર્કિંગ સંપૂર્ણપણે ફરજિયાત કરવામાં આવી છે. આ દરમિયાન બીઆઈએસ (BIS) ગ્રાહકોને મેન્ડેટરી હૉલમાર્કિંગ જ્વેલરી લેવા માટે જાગૃત કરશે. જ્યારે સરકાર 14 કેરેટ, 16 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટની જ્વલેરીને હૉલમાર્કિંગ ફરજિયાત કરશે. જેના માટે 400થી 500 નવા અસેસિંગ સેન્ટર ખુલશે. હાલ દેશમાં 700થી વધુ અસેસિંગ સેન્ટર છે. સરકારને લાગે છે કે હજુ વધુ અસેસિંગ સેન્ટરની જરૂર છે.
હૉલમાર્કિંગ કેમ જરૂરી
હૉલમાર્કિંગથી દાગીનામાં સોનું કેટલું છે અને અન્ય ધાતુ કેટલી છે તેના વિશે સચોટ માહિતી મળે છે અને અધિકૃત રેકોર્ડ હોય છે. નવા નિયમો મુજબ હવે સોનાનાં ઘરેણાંનું હૉલમાર્કિંગ થવું ફરજિયાત રહેશે. તેના માટે જ્વેલર્સને લાઇસન્સ પણ લેવું પડશે.
સરકારે સોના-ચાંદીનાં ઘરેણાંની એક્સપોર્ટ પર ડ્યૂટી ડ્રો બેક દર વધારી દીધા છે. નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે કે આ પગલાંથી સોના અને ચાંદીના દાગીનાની નિકાસ વૈશ્વિક બજાર માટે વધુ સ્પર્ધાત્મક બની જશે. ડ્યૂટી ડ્રો બેક હેઠળ નિકાસકારને નિકાસ કરવામાં આવેલ પ્રોડક્ટ પર ચૂકવેલ તમામ ચાર્જિસ અને ટેક્સનું રિફંડ મળે છે.
નોટિફિકેશન અનુસાર સોનાના દાગીના માટે ડ્યૂટી ડ્રો બેકનો દર વધારીને પ્રતિ ગ્રામ રૂ. 372.90 અને ચાંદીના દાગીના માટે ડ્યૂટી ડ્રો બેક વધારીને પ્રતિ કિલો ગ્રામ રૂ. 4,332.20 કરવામાં આવ્યો છે. આ અગાઉ આ બંને દર અનુક્રમે પ્રતિ ગ્રામ રૂ. ૨૭૨ અને પ્રતિ કિલોગ્રામ રૂ.3254 હતા.
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સુધારેલા દર અમલી થઇ ગયા છે. જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે બજેટમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી.