એડ્જસ્ટેડ ગ્રોથ રેવન્યૂ (એજીઆર)ની બાકી નીકળતી જંગી લેણી રકમથી પ્રભાવિત વોડાફોન-આઇડિયા સહિતની ટેલિકોમ કંપનીઓને બચાવવા માટે વિવિધ મંત્રાલય વચ્ચે બેલઆઉટ પેકેજ આપવા અંગે સંમતિ સધાઇ રહી છે. આ અંગે ટેલિકોમ મંત્રાલય, નાણાં મંત્રાલય અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક મળી હતી.
કંપનીઓને રાહત આપવા માટે એક બેલઆઉટ પેકેજ આપવા સંમતિ સધાતી નજરે પડી
પનીઓને સરકાર દ્વારા ઓછા વ્યાજદરે સોફ્ટ લોન આપવાની વ્યવસ્થા કરાશે
એજીઆર કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૭ માર્ચે સુનાવણી નિર્ધારિત કરી છે
મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીઓને રાહત આપવાની બાબતમાં હજુ કોઇ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ કંપનીઓને રાહત આપવા માટે એક બેલઆઉટ પેકેજ આપવા સંમતિ સધાતી નજરે પડી છે. આ બેલઆઉટ પેકેજ હેઠળ ટેલિકોમ કંપનીઓને સરકાર દ્વારા ઓછા વ્યાજદરે સોફ્ટ લોન આપવાની વ્યવસ્થા કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એજીઆરનું પેમેન્ટ કરવાથી ટેલિકોમ કંપનીઓ બંધ થવાના આરે આવી જશે અને તેના કારણે દેશમાં કોઇ એક કંપનીની મોનોપોલી ઊભી થઇ શકે છે અથવા ટેલિકોમ માર્કેટમાં માત્ર બે જ પ્લેયર રહેશે. સરકારનું માનવું છે કે આ બંને સ્થિતિ ટેલિકોમ માર્કેટ માટે સારી નથી. તેથી ૧૭ માર્ચ પહેલાં ટેલિકોમ કંપનીને બેલઆઉટ પેકેજ આપવા અંગે આખરી નિર્ણય લેવાઇ શકે છે, કારણ કે એજીઆર કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૭ માર્ચે સુનાવણી નિર્ધારિત કરી છે.