પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નવી 7 કંપનીઓને પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવાની પરવાનગી આપી દીધી છે.
7 કંપનીઓને મળી ઈંધણના વેચાણની પરમીશન
મુકેશ અંબાણીની કંપની વેચશે પેટ્રોલ-ડીઝલ
2019ના નિયમો મુજબ સરકારે આપી પરમીશન
2019ના માર્કેટ ટ્રાન્સપોર્ટેશન ફ્યુલસના નિયમોના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમની સાથે સાથે હવે નવી 7 કંપીનો પણ પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરશે. મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ પેટ્રોલ-ડીઝલના વેચાણ માટેની પરવાનગી આપી દેવામાં આવી છે.
ચેન્નાઈની IMC કંપનીને પણ મળી પરવાનગી
રિલાયન્સના હાલના રિટેલ માર્કેટિંગ ઓથેરાઈઝેશનને રિલાયન્સની સબ્સિડરી કંપની BP મોબિલિટીને ટ્રાન્સફર કરવામાં આવી છે જેના લીધે પેટ્રોલ-ડીઝલના વેચાણનો અધિકાર રિલાયન્સને આપવામાં આવ્યો છે. ચેન્નાઈની ઇંડિયન મોલસેસ કંપની(IMC) કે જે ઓઇલ ટર્મિનલ્સમાં પ્રખ્યાત છે તેને પણ પેટ્રોલ-ડીઝલના વેચાણનો અધિકાર આપવામાં અવ્યો છે. IMCએ ભારતમાં તેલ અને ગેસની શોધ કરીને તેનું ઉત્પાદન કરવા માટે પણ અરજી કરી હતી પરંતુ IMCને કોઈપણ પ્રોજેક્ટ આપવામાં આવ્યો ન હતો.
આસામ ગેસ કંપનીને ઈંધણના વેચાણનો મળ્યો અધિકાર
આસામ સરકારની ગેસ કંપનીને પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના વેચાણ માટેનો અધિકાર આપવામાં આવ્યો છે અને તે સાથે જ ઓનસાઇટ એનર્જીને પણ સરકારે પેટ્રોલ-ડીઝલના વેચાણ માટેની મંજૂરી આપી દીધી છે. માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કે જેનું પોતાનું LPG બ્રાન્ડ છે તેને પણ સરકારે પેટ્રોલ-ડીઝલના વેચાણ માટેનો અધિકાર આપી દીધો છે. માનસ એગ્રોનું નયારા એનર્જી સાથે પણ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ વેચવા માટેનો કરાર છે.
2019ના નિયમો મુજબ સરકારે આપી પરમીશન
પેટ્રોલ-ડીઝલના વેચાણ માટેનો અધિકાર માત્ર એવી જ કંપનીઓને આપવામાં આવ્યો છે કે જેમની નેટવર્થ ઓછામાં ઓછી 250 કરોડ રૂપિયા હોય. જો રિટેલની સાથે હોલસેલમાં પણ પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવું હોય તો નેટવર્થ ઓછામાં ઓછું 500 કરોડ હોવું જરૂરી છે. 2019ના નિયમો મુજબ વેચાણની મંજૂરી મળ્યાના 5 વર્ષની અંદર કંપનીએ ઓછામાં ઓછા 100 રિટેલ આઉટલેટ્સ તૈયાર કરવા ફરજિયાત છે જેમાંથી 5% ગ્રામ્ય વિસ્તારમાં હોવા જોઈએ. દેશમાં અત્યારે 90% ફ્યુલ રિટેલિંગના વેચાણનો આધાર સરકારી કંપનીઓ પર છે અને બાકીનો RIL અને નયારા એનર્જી પાસે છે.