અરવલ્લીઃ પોતાના ખેતર વિસ્તારના તળ ઊંચા આવે તે માટે અરવલ્લીના રમાડ ગામના ખેડૂતોએ જાતે શ્રમદાન કરીને ચેકડેમની કામગીરી શરૂ કરી હતી. પરંતુ તંત્ર પોતે તો ખેડૂતના હીતમાં ચેકડેમનું નિર્માણ કરતુ નથી પણ જે ખેડૂતો પોતાના શ્રમદાનથી આ કામ કરી રહ્યા છે તેને પણ નોટિસ મોકલે છે.
રમાડ ગામના ખેડૂતોને સિંચાઇ વિભાગે ચેકડેમની કામગીરી બંધ કરવા માટે આદેશ કર્યો છે. મંજૂરી વિના ચાલતી ચેકડેમની કામગીરી બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં ચેકડેમ ટેક્નિકલ રીતે ખામીયુક્ત હોવાથી કામગીરી બંધ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ અંગે સ્પષ્ટતા કરતા અરવલ્લી કલેક્ટરે જણાવ્યું હતું કે ચેકડેમની કામગીરીની જાણ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે પરંતુ ચેકડેમની કામગીરી બંધ કરવામાં નહી આવે.
જોકે કાર્યપાલક ઇજનેર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ પણે લખ્યુ છે કે તાત્કાલીક અસરથી કામગીરી બંધ કરવામાં આવે. જેને લઈને કલેક્ટર તથા ઇજનેરના વિરોધાભાસી નિવેદનથી ખેડૂતો અવઢવમાં છે.