GSFC ખાતરમાં તોલમાપમાં કૌભાંડના મામલે હવે સરકારે તપાસના આદેશ આપી દીધા છે. સુરતમાં તોલમાપના અધિકારીઓ ખાતર ડેપો પહોંચ્યા અને ખાતરની થેલીઓનું વજન કરવામાં આવ્યું છે. ત્યારે તોલમાપના અધિકારીઓની તપાસમાં ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે.
તોલમાપના અધિકારીઓ દ્વારા કરાયેલો ખાતર તપાસનો આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને GSFC સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં વચેટિયાઓ ગોલમાલ કરતા હોવાની આશંકા છે. વચેટીયાઓ ખાતરની થેલીમાંથી ખાતર કાઢી લઇ અને કૌભાંડ અચરતા હોવાની શક્યતા છે.
તમને જણાવી દઇએ કે, સમગ્ર ગુજરાતમાં તુવેર કૌભાંડ બાદ ખાતર કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે તેની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા અને માલપુરના જીએસફસીના ડિલરોને ત્યાં ખાતરની થેલીઓનું રિયાલિટી ચેક કરતાં ડીએપી ખાતરની થેલીમાં કંપનીનું વજન 50.12 હોવું જોઈએ તેના સ્થાને 49.5 જેટલું જોવા મળ્યું એટલે કે એક થેલી દીઠ 500 ગ્રામથી 620 ગ્રામ જેટલું વજન ઓછું જોવા મળ્યું હતું. આમ હાલ ખેડૂતો મોંઘા ભાવનું ખાતર ખરીદતા હોય છે ત્યારે ખાતરના વજનમાં 500 ગ્રામ જેટલો ઘટાડો હોય તો ખેડૂતના ખિસ્સામાંથી 500 ગ્રામ વજનના ખોટા રૂપિયા કંપની દ્વારા ખંચેરી લેવામાં આવે છે.
માલપુરમાં પણ કંપનીના ડીલરને ત્યાં તપાસ કરતા ત્યાં પણ 400 ગ્રામથી 620 ગ્રામ જેટલું વજન ઓછું જોવા મળ્યું હતું. આ કૌભાંડ માત્ર અરવલ્લી જિલ્લાના એક બે સેન્ટરોની વાત નથી. સમગ્ર જિલ્લાના તમામ ખાતરના ડિલરોને ત્યાં આ રીતના ઓછા વજન વાળી ખાતરની બેગો વેચાઈ હશે અને ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હશે જોકે સ્થાનિક કંપની ના ડેપો ઇન્ચાર્જ આ અંગે કંઈપણ કહેવા તૈયાર નથી પણ ચોક્કસ થી ખાતર કંપની એ ખેડૂતો ના ગળે છુરી ફેરવી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું સ્પષ્ટ થાય છે