લગ્નમાં લાખો રુપિયાનો ધૂમાડો કરનાર લોકો માટે મધ્યપ્રદેશના એક હાઈપ્રોફાઈલ કપલે એક શાનદાર ઉદાહરણ પુરુ પાડ્યું છે. ખોટો ખર્ચો કર્યા વગર બન્ને ખાલી 500 રુપિયામાં પરણી ગયા.
શિવાંગી અને મેજર અનિકેતે અત્યંત સાદગીથી લગ્ન કર્યાં
ખાલી 500 રુપિયામાં લગ્નના તાંતણે બંધાઈ ગયા
લગ્નમાં ન તો બેન્ડબાજા હતા કે ન તો બારાત નીકળી
મધ્યપ્રદેશના ધાર જિલ્લા કોર્ટમાં સિટી મેજિસ્ટ્રેટ શિવાંગી જોશી અને આર્મીમાં મેજર અનિકેત ચર્તુવેદીએ અત્યંત સાદગીથી લગ્ન કરી લીધા છે. ખૂબીની વાત એ છે લગ્નમાં ફક્ત 5-10 લોકો હાજર રહ્યાં અને પરિવારના સભ્યોની હાજરીમાં શિવાંગી જોશી અને મેજર અનિકેત ચર્તુવેદી લગ્નના તાંતણે બંધાઈ ગયા. બન્નેના લગ્ન રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યાં છે અને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. ફક્ત વરમાળા અને મિઠાઈનો જ 500 રુપિયાનો ખર્ચ થયો હતો.
શિવાંગી અને અનિકેત નક્કી થયેલા સમયે પોતપોતાની ગાડી લઈને કોર્ટમાં આવ્યાં જ્યાં બન્નેએ લગ્નની નોંધણી કરાવી ત્યાર બાદ ગણ્યાગાંઠ્યા મહેમાનો અને પરિવારના સભ્યોની હાજરીમાં બન્નેએ એકબીજાને માળા પહેરાવી દીધી. ત્યાર બાદ નવપરણિત યુગલ હસતા હસતા કોર્ટમાંથી રવાના થઈ ગયા. લગ્ન દરમિયાન ત્યાં હાજર રહેલા અધિકારીઓએ પણ તેમના આર્શીવાદ આપ્યાં હતા.
કોરોનાના કારણે વારંવાર લગ્ન મોકૂફ રહેતા હતા
સિટી મેજિસ્ટ્રેટ શિવાંગી જોશી મૂળ ભોપાલની રહેવાશી છે. બે વર્ષ પહેલા શિવાંગીની સગાઈ આર્મીમાં મેજર અનિકેત ચર્તુવેદી સાથે થઈ હતી. પરંતુ કોરોના લોકડાઉનને કારણે બન્નેના લગ્ન થઈ શકતા નહોતા. અનિકેત હાલમાં લદ્દાખમાં તહેનાત છે. તો શિવાંગીની પોસ્ટિંગ ધાર જિલ્લામાં છે. શિવાંગીએ કોરોના કાળમાં પણ ડ્યુટી નિભાવવાનું ચાલુ રાખ્યું હતું. તેને કારણે લગ્નની તારીખ નક્કી થઈ શકતી નહોતી.
સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો
કોરોનાની બીજી લહેર નરમ પડ્યાં બાદ શિવાંગી અને અનિકેતે અત્યંત શાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવાર પણ રાજી હતો.
ત્યાર બાદ બન્નેએ ધાર કોર્ટમાં કોઈ પણ જાતના ખોટા દેખાડા વગર લગ્ન કરી લીધા અને સમાજને લાખો રુપિયાનો ખર્ચ બચાવી લેવાનો સંદેશ પણ આપી દીધો.