ભાવનગરઃ મહાનગરપલિકા દ્વારા સામાન્ય નગરજનોને ઘરવેરા સહિતનાં અનેક બાકી વેરાઓ માટે ઢોલ પીટીને વેરો વસુલ કરે છે પરંતુ સરકારની જ કચેરીઓમાં બાકી રહેલા 35 કરોડથી વધુ રકમ ના બાકી લેણાં માટે કોઈ કામગીરી કરતું નથી અને કેન્દ્ર તેમજ રાજયમાં પોતાની સરકાર હોવાં છતાં સ્થનિક પદાધિકારીઓનું ઉપલા લેવલે કઈ ઉપજતું નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાનાં શાસકો અને તંત્ર સામાન્ય માણસોને ત્યાં બાકી ટેક્સને લઇને ઢોલ પીટીને કે સીલ મારીને કડક કાર્યવાહી કરે છે પરંતુ સરકારી તંત્રનાં વિભાગો પ્રત્યે કુણું વલણ દાખવે છે તેની સામે રોષ જોવાં મળ્યો છે.
આમ તો માર્ચ મહિનો આવે એટલે ભાવનગર મનપાનાં તંત્ર ઘર વેરો કે અન્ય વેરો ઉઘરાવવા માટે કડક ઉઘરાણી સારું કરે છે પરંતુ વર્ષોથી જેનાં કરોડો રૂપિયા બાકી છે તેનાં સામે કોઈ જ પગલાં ભરાતા નથી.
ભાવનગર શહેરમાં આવેલી અનેક સરકારી મિલ્કતોનો કરોડોનો ટેક્સ બાકી છે. ભાવનગરમાં 2600 જેટલી સરકારી મિલ્કતોનો 35 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ ટેક્સમાં સૌથી વધુ ડિફેન્સ વિભાગ હસ્તકનાં જવાહર મેદાનનાં અત્યાર સુધીનો 20 કરોડથી વધુનો ટેક્સ બાકી છે.
તો બીજી બાજુ રેલ્વેનાં તમામ બિલ્ડિંગો રેલ્વેની હોસ્પિટલો અને કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત અને જેલ સહિતની બિલ્ડીંગો પાસે 15 કરોડથી વધુનો ટેક્સ બાકી છે તેમ છતાં તંત્ર તે ઉઘરાવતું નથી અને સામાન્ય પ્રજા માથે કોરડા વીંઝે છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
આમ તો ઘર વેરામાં 25 000થી વધુ રકમ બાકી હોઈ તેવાં 95 ટકા કેસ છે તો બીજી બાજુ 1 લાખથી 40 લાખ જેવી રકમ બાકી હોવાંથી તેનાં મિલ્કતની હરાજી કરવામાં આવે છે તેમ તંત્રનું કહેવું છે. ભાવનગર મનપામાં નવી અને જૂની કર પદ્ધતિ મુજબ વેરો ઉઘરાવવામાં આવે છે.
જો કે અધિકારીનો એવો દાવો છે કે કયારેક રિબેટ યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યારે સરકારી સંસ્થાઓ પૈસા ચૂકવે છે પરંતુ હજુ 35 કરોડથી વધુ રકમનો વેરો બાકી છે તે વાત સાચી છે અને તેનાં માટે તેમને રૂબરૂ મળીને કે નોટિસ પાઠવીને ધ્યાન દોરવામાં આવે છે.
ભાવનગર મનપાનું તંત્ર એક ને ગોળ અને એક ને ખોલ જેવી નીતિ અપનાવી રહ્યું છે ત્યારે જે સરકારી મિલ્કતોનાં ટેક્સ બાકી છે તેની ઉઘરાણી કરે તો ભાવનગરનાં વિકાસમાં આ નાણાં વાપરી શકાય તેમ છે.