મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મનપાઓ દ્વારા વસૂલવામાં આવતા કરવેરામાં 2 મહિનાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ કરવેરામાં આ રાહતનો લાભ મળશે. જેમાં 30 જૂન સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનારા લોકોને 7 ટકા વળતરનો લાભ આપવામાં આવશે. સાથે 1 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનારાને 5 ટકા વળતર આપવામાં આવશે, જ્યારે 30 જુલાઈ સુધી મોબાઇલ એપ કે ઈ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું 5 ટકા વળતર આપવામાં આવશે. આમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા નાગરિકોને કુલ 12% વળતરનો લાભ આપવામાં આવશે.
30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર
વધુમાં જણાવી દઇએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના જૂન અને જૂલાઇ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કરવેરા કે જેમાં મિલકત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો તા. 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે.
માત્ર એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય લીધો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે.
30 જુલાઈ સુધી મોબાઈલ કે ઈ-નગર પોર્ટલથી ટેક્સ ભરનારાને અપાશે 5% રાહત
'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. તદ્દાનુસાર નાણાંકીય વર્ષ 2022-23 ની વેરાની રકમ તા. 1 જુલાઇ-2022 થી તા. 31 જુલાઇ-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે. આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય અને સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.