અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની સ્કૂલોમાં આજે સવારે કરવામાં આવેલા VTVના રિયાલિટી ચેક બાદ રાજ્યોની તમામ સ્કૂલોને સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી.
ઠંડીમાં બાળકોને વહેલા બોલાવવા મામલે VTVના અહેવાલની અસર
દરેક જિલ્લામાં સ્કૂલોને સમયમાં ફેરફાર કરવા સરકારે આપી સૂચના
રાજકોટની જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ શિક્ષણાધિકારીનો આદેશ
હાડ થીજવતી ઠંડી વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્કૂલોમાં VTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાલીઓએ ઠંડીના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. VTVના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. VTVના અહેવાલ પડઘા પડ્યા છે. અહેવાલ પ્રકાશિત કરાયાના કલાકોમાં જ હવે સ્કૂલોને સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી દીધી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્કૂલોમાં કરાયું હતું રિયાલિટી ચેક
આજે વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના કેટલાક શહેરોની સ્કૂલોમાં VTVની ટીમ દ્વારા બાળકોની વેદના સાંભળવામાં આવી હતી. આ દરમિયાન બાળકોના વાલીઓએ શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. અમદાવાદના સેટલાઈટ વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કૂલ ખાતે VTV સાથેની વાતચીતમાં સાગર રાજપુરોહિત નામના વાલીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઠંડી પડી રહી છે, ત્યાં સુધી શાળાનો સમય અડધી કલાક કે એક કલાક મોડો કરવો જોઈએ. તો અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, શાળાએ કંઈક સમજવું જોઈએ, અપૂરતી ઊંઘના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને મગજ પર પણ અસર થાય છે. તાજેતરમાં રાજકોટમાં ઠંડીના કારણે એક બાળકીનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. શાળાઓએ આ ઘટનાથી શીખ લેવી જોઈએ. આજે સવારે જ VTV ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
રાજકોટની આ શાળાઓના સમયમાં ફેરફારનો આદેશ
રાજકોટની જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ શાળાઓના સમયમાં ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે. ળાના સમયમાં ફેરફાર અંગે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું કે, ઠંડીના કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે. આચાર્ય સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકે છે. શાળામાં બાળકોની સલામતી અગત્યની છે. શાળાઓ સ્વેટર પહેરતા વિદ્યાર્થીઓને રોકી ન શકે.
વિદ્યાર્થિનીની માતાએ ગંભીર આક્ષેપ સાથે કરી હતી વિનંતી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મૃત્યુ મામલે વિદ્યાર્થિની રીયાની માતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે ગંભીર આક્ષેપ સાથે વિનંતી કરતા કહ્યું હતું કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, 'સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો.' તેમણે કહ્યું હતું કે, કડડતી ઠંડીમાં છોકરાઓને આવવું પડે તે યોગ્ય નહીં અને બની શકે તો સ્કૂલનો સમય મોડો રાખો અને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય નહીં અને સ્કૂલના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલમાં છોકરાઓ જાડા સ્વેટર પહેરે તો ઠંડી ઝીલી શકે. મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાખી છે. રીયા એકદમ તંદુરસ્ત હતી, કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં હ્રદય બંધ થઇ ગયું. જેમાં મારી ફૂલ જેવી દીકરીનું મૃત્યુ નીપજ્યું.