વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની સાથે હવે વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત સુધારવા માટે કેન્દ્ર સરકાર આવનારા સમયમાં પણ જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છે. સાથે એ વાતનો પણ સંકેત આપ્યો છે કે જલ્દી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ LTC (Leave Travel Allowances) અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. તેમણે કહ્યું સરકારનો ઉદ્દેશ્ય વંચિત અને ગરીબ વર્ગને જરૂરી મદદ પહોંચાડવાનો છે. આ પેકેજની જાહેરાત ભલે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હોય પણ અમુક ખર્ચ એવી વસ્તુઓ પર થવાનો છે, જેનો સીધો લાભ નાના વેપારીઓને મળી શકશે.
પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને LTA લાભ આપવાને લઈને તેમણે કહ્યું કે ટૂંક સમયમાં એવા કર્મચારીઓ વિશે સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે, જેમણે નવી ટેક્સ સિસ્ટમ અપનાવી લીધી છે અથવા જેમણે પહેલાં જ LTAનો લાભ લઈ લીધો છે. આવનાર સપ્તાહમાં આ વિશે સ્પષ્ટીકરણ જારી થઈ શકે છે.
80 કરોડ લોકોને મફત અનાજ આપનાર એકમાત્ર દેશ
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અનુરાગ ઠાકુરે બંને પ્રોત્સાહન પેકેજ અને અર્થવ્યવસ્થા પર તેની અસરને લઈને કહ્યું કે આપણે મોટી તસવીર જોવાની જરૂર છે. ટીકા તો સ્વાભાવિક રીતે થશે. ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં 8 મહિના માટે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. આ સિવાય ગરીબ વર્ગના બેંક એકાઉન્ટમાં 68,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ગ્રામીણ અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરી
ગ્રામીણ અર્થવ્યવસ્થાને લઈને અનુરાગ ઠાકુરે કહ્યું કે તે સારી સ્થિતિમાં છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ફક્ત મનરેગા અથવા કૃષિની વાત નથી. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર સ્તર ઉપર પણ કામ થઈ રહ્યું છે. જેનાથી રોજગારની નવી તકો મળી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં હવે ટ્રેક્ટર, મોટરબાઈક્સ, ચાર પૈડાવાળા સાધન અને ઘરોની માંગ વધી રહી છે. હવે લોકો ખર્ચ કરવા લાગ્યા છે.