વધતા જતા ખાદ્ય તેલના ભાવોને કાબુમાં લેવા સરકાર તેની પરની આયાત ડ્યુટી વધારે ઘટાડે તેવી સંભાવના છે.
વધતા જતા ખાદ્ય તેલના ભાવને નાથવા સરકાર એક્શનમાં
આગામી સમયમાં ખાદ્ય તેલની આયાત પરની ડ્યૂટીમાં વધુ ઘટાડો કરી શકે
દેશમાં ક્રૂડ ખાદ્યતેલની આયાત પર 5.5 ટકા ડ્યૂટી
સરકાર 5.5 ટકાથી પણ ડ્યુટી ઓછી કરે તેવી સંભાવના
ખાદ્ય તેલની આસમાન છૂતી મોંઘવારીની વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. ખાદ્ય તેલના વધતા જતા ભાવોને રોકવા માટે સરકાર તેની પરની આયાત ડ્યુટી વધારે ઘટાડવાની વિચારણા કરી રહી છે.
સરકાર કરી રહી છે તૈયારી
વાસ્તવમાં ખાદ્યતેલના વધતા ભાવથી રસોડાનો સ્વાદ બગડી ગયો છે. હવે સરકાર આ વધતી મોંઘવારીને કાબુમાં લેવા માટે નવી યોજના બનાવી રહી છે. સરકાર આયાત પર અન્ય બે સેસમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત સરકાર વર્તમાન ફી ઘટાડાને સપ્ટેમ્બરથી આગળ વધારી શકે છે.
ક્રૂડ ખાદ્યતેલ પર આયાત ડ્યુટી કેટલી ?
હાલ દેશમાં ક્રૂડ ખાદ્યતેલની આયાત પર 5.5 ટકા ડ્યૂટી છે, જે અગાઉ 8.25 ટકા હતી. હાલ ખાદ્યતેલ માટે ટેક્સ સિસ્ટમ 2 સેસ પર આધારિત છે. એક છે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (એઆઇડીસી) અને બીજો છે સોશિયલ વેલ્ફેર સેસ. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સરકારે એઆઈડીસીને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી હતી. ત્યાર બાદ ક્રૂડ ખાદ્યતેલની આયાત પરની કુલ ડયૂટી ઘટીને 5.5 ટકા થઇ ગઇ હતી.
વધુ ઘટાડો ચાલુ રહેશે
આ મામલે સીબીડીટી અને કસ્ટમના અધિકારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલો આ ઘટાડો ચાલુ રહી શકે છે. હકીકતમાં ખાદ્યતેલના ઉત્પાદનની સમસ્યા માત્ર ભારતના સ્તરે જ નહીં, વૈશ્વિક સ્તરે પણ છે, તેથી સતત વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી.એક અધિકારીએ કહ્યું, "કાપ ચાલુ રાખવાથી મધ્ય અને લાંબા ગાળામાં સ્થાનિક બજાર પર નોંધપાત્ર અસર પડશે, પરંતુ હાલ કોઈ વિકલ્પ નથી." સરકારને એ પણ ચિંતા છે કે આયાતમાં સતત વધારો આખરે ઘરેલું શુદ્ધિકરણ ઉદ્યોગ અને તેલ ઉત્પાદકોને પ્રતિકૂળ અસર કરશે. આવી સ્થિતિમાં, સરકાર ચોક્કસપણે તેના તરફથી કોઈ મોટું પગલું લઈ શકે છે.