લોન મોરેટોરિયમનો લાભ લેવા માટે કેન્દ્ર સરકારે થોડાં દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરીને કહ્યું કે બેન્કો પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ પર વ્યાજ નહીં વસૂલવામાં આવે. કેન્દ્ર સરકાર જાતે જ તે ખર્ચ ઉઠાવશે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે જે લોકોએ લોન મોરેટોરિયમનો લાભ નથી લીધો અને સમય પર લોન રિપેમેન્ટ કર્યું છે, તેમને પણ કેન્દ્ર સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કેશલેસ જેવા વિકલ્પ પસંદ કરી શકે છે અને તેના માટે પણ લોનની મર્યાદા બે કરોડ રૂપિયા હશે અને તેમાં વ્યક્તિગત સ્તર પર કે MSMEને આપવામાં આવેલી લોનને પણ સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામને એકસમાન લાભ મળે.
લોન મોરેટોરિયમ વિકલ્પ પસંદ નહીં કરનારાઓ માટે સારાં સમાચાર
સરકાર તેમના હિતમાં લઈ શકે છે આ નિર્ણય
એક રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું છે કે જો આ લોન લેનારાઓએ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હોય તો તેમને થોડો લાભ ચોક્કસ મળશે. કેન્દ્ર સરકાર હવે આ લાભ એ લોકો સુધી પહોંચાડવા માંગે છે જેઓએ સમયસર લોન રિપેમેન્ટ ચાલુ રાખ્યું છે. જે લોકોએ સમયસર પોતાની બાકી રકમની ચૂકવણી કરી છે તેમને તેનો લાભ ન આપવો અયોગ્ય ગણાશે.
સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળ્યા બાદ સરકાર લેશે કોઈ નિર્ણય
જોકે, હજુ તેની પર કોઈ જાણકારી સામે નથી આવી. હાલ તેની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. જો સુપ્રીમ કોર્ટ વ્યાજ પર વ્યાજ માફ કરવાની વાતને મંજૂર કરી દે છે અને આવા લોન લેનાર લોકોનો આંકડો આવી જાય છે તો સરકાર તરફથી આ દિશામાં પગલાં ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગત સમયમાં કેટલાક રાજ્યો દ્વારા કૃષિ લોન માફ કર્યા બાદ કેન્દ્ર અને રિઝર્વ બેન્કે કહ્યું હતું કે આવું કરવાથી ઈમાનદાર લોન લેનારા લોકો સાથે યોગ્ય નથી થઈ રહ્યું.
સરકારના ખજાના પર કેટલું ભારણ વધશે?
આ રિપોર્ટમાં રેટિંગ એજન્સી ઇકરાના ઉપાધ્યક્ષ અનિલ ગુપ્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર સમયસર લોન રિપેમેન્ટ કરનારા લોકોને વ્યાજ પર વ્યાજમાં અમાઉન્ટને ઘટાડીને થોડીક રાહત આપી શકે છે. તેમણે કહ્યું કે બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી 30-40 લોન પણ તેના માટે યોગ્ય થાય છે તો સરકાર પર તેનું ભારણ 5થી 7 કરોડ રૂપિયાથી વધુ નહીં પડે.
અધિકારીઓનું કહેવું છે કે મોટી સંખ્યામાં એવા લોકો છે જેમણે સમગ્ર 6 મહિના દરમિયાન મોરેટોરિયમનો વિકલ્પ નથી પસંદ કર્યો. બીજી તરફ કેટલાક એવા લોન લેનાર લોકો પણ છે જેમણે થોડાક જ સમય માટે મોરેટોરિયમનો લાભ લીધો. સૂત્રોએ જણાવ્યું કે આ એક જટિલ ગણતરી છે અને હાલ સરકારની પાસે તેનાથી જોડાયેલા તમામ આંકડા ઉપલબ્ધ નથી.