ગુજરાતમાં કોરોના સંકટ હળવુ થતાં ટૂંક સમયમાં રાજ્ય સરકાર 36 શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે.
રાજ્યમાં કર્ફ્યૂમાં મળી શકે રાહત
સરકાર ટૂંક સમયમાં લઈ શકે નિર્ણય
કર્ફ્યૂના સમયમાં ઘટાડી શકે છે સમય
10 વાગ્યા સુધીની મળી શકે છૂટછાટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે.
રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્યમાં 36 શહેરમાં નિયંત્રણમાં રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ ઘટાડીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.
ધંધા-રોજગાર માટે પણ લેવાઈ શકે છે નિર્ણય
આ સાથે જ ધંધા-રોજગાર મામલે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં બપોરે 3 વાગ્યાના સ્થાને 6 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ નજીકના ભવિષ્યમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
શું છે હાલની સ્થિતિ ?
ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.
તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 09:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
રેસ્ટોરેન્ટ્સ સવારના ૯:૦૦ કલાકથી રાત્રિના ૮:૦૦ કલાક સુધી Take away અને Home deliveryની સુવિધા ચાલુ રાખી શકશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.