ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂમાં રાહત મળે તેવી શક્યતા છે.
ગુજરાતીઓને રાત્રી કફર્યૂમાં મળી શકે છે રાહત
રાત્રે 10 સુધી મળી શકે છે છૂટછાટ
દુકાનો રાત્રે 8 સુધી ખુલ્લી રાખવા લેવાઈ શકે છે નિર્ણય
મળતી જાણકારી પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોને ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. નાઈટ કર્ફ્યૂના સમય ગાળામાં હવે ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે.
રાત્રી કર્ફ્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળી શકે
અત્યારે રાત્રી કર્ફ્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળી શકે છે. તો બીજી તરફ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકે છે.. સાથે જ મલ્ટીપ્લેક્સ ખોલવા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દુકાન રાત્રે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે.. જોકે 26 જૂને આ નિયંત્રણોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના ઘટતા કેસના કારણે પ્રજા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર
ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં સૌથી વધારે કેસ
ગુજરાતમાં 135 કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં 30 જ્યારે સુરત શહેરમાં 14 કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 10 કેસ જ્યારે વડોદરા શહેરમાં 8 કેસ સામે આવ્યા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજોર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા 50 દિવસમાં સંક્રમણના 1 કરોડ કેસ નોંધાયા છે.
જેમાં 50 લાખ કેસ તો છેલ્લા 36 દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી 3.9 લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજી લહેર દરમિયાન દેશમાં 2.33 લાખ લોકોના મૃત્યુ થયા છે.