સરકારી જમીન અને ગૌચર પર થયેલા દબાણને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા રાજ્યભરમાં તમામ સરકારી જમીનની માપણી કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સરકાર દ્વારા માપણી કરાશે. સરકારી જમીન પર થયેલા દબાણને લઈને મહેસુલ મંત્રીએ તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી.
તમામ સરકારી જમીનની માપણી કરવાનો લેવાયો નિર્ણય
રાજ્યભરમાં આધુનિક ટેક્નોલોજીથી માપણી કરવામાં આવશે
જમીન માપવા માટે જીઓમેપિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી
આ બેઠકમાં જીઓમેપિંગથી જમીન માપણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં સરકારી જમીન પર થયેલા દબાણની ફરિયાદો વિશે પણ ચર્ચા કરાઈ હતી. રાજ્યમાં પ્રથમ શહેર વડોદરામાં જમીન માપણી કરવામાં આવી છે.
વડોદરાના શહેરી વિસ્તારમાં ડ્રોનની મદદથી જીઓમેપિંગ સિસ્ટમથી જમીનની માપણી કરવામાં આવી છે. જીઓમેપિંગ સિસ્ટમથી માપણી કર્યા બાદ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.
સરકાર દ્વારા જમીનની માપણી કર્યા બાદ ઓનલાઈને ડેટા અપલોડ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં મનપા અને ગ્રામીણ વિસ્તારમાં કલેકટર નેજા હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. સરકારી જમીન પર દબાણ કરનાર લોકોના વિરૂદ્ધમાં કડક પગલા લેવામાં આવશે.