બધુ પ્લાન પ્રમાણે થશે તો આગામી થોડા વખતમાં સ્કૂલો શરુ થઈ શકે
દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા હવે બંધ પડેલી સ્કૂલો ખોલવાની દિશામાં કેન્દ્ર સરકાર સક્રિય વિચારણા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મુંબઈમાં તો સ્કૂલો શરુ થઈ છે અને હવે દિલ્હીમાં પણ સ્કૂલો શરુ કરવાની તૈયારી શરુ કરાઈ છે ત્યારે દેશભરની સ્કૂલો શરુ કરવાની દિશામાં પણ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. મહામારી નિષ્ણાંતો કહી ચૂક્યા છે કે હવે સ્કૂલો બંધ રાખવાની કોઈ જરુર નથી.
સરકાર શાળાઓ ખોલવાના મોડલ પર કામ કરી રહી છે
કેન્દ્ર સરકાર કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરીને વ્યવસ્થિત રીતે ઑફલાઇન વર્ગો માટે શાળાઓ ખોલવાના મોડલ પર કામ કરી રહી છે. વાયરસના નવા ઓમિક્રોન પ્રકાર બહાર આવ્યા પછી દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓમાં ઑફલાઇન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને કારણે વિદ્યાર્થીઓ ટૂંકા સમયગાળો સિવાય લગભગ બે વર્ષથી મોટાભાગે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહ્યા છે. સૂત્રોએ કહ્યું, 'જેમ કે વાલીઓ શાળાઓ ખોલવાની માંગ કરી રહ્યા છે, કેન્દ્ર સરકાર કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરીને શાળાઓ ખોલવા માટે એક મોડેલ પર કામ કરી રહી છે.
મુંબઈમાં તમામ ધોરણની સ્કૂલો શરુ થઈ
મુંબઈમાં કોરોના નબળો પડતા તમામ ધોરણની સ્કૂલો ફરી શરુ કરવામાં આવી છે. એપિડેમિયોલોજિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ ચંદ્રકાંત લહરિયા અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચના અધ્યક્ષ યામિની ઐયરના નેતૃત્વમાં માતા-પિતાનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને મળ્યું અને 1,600થી વધુ વાલીઓ વતી હસ્તાક્ષર કરાયેલ એક મેમોરેન્ડમ સુપરત કર્યો, જેમાં શાળાઓ ફરીથી ખોલવાની માંગ હતી. અન્ય કેટલાક રાજ્યોમાં પણ આવી જ માંગણીઓ કરવામાં આવી છે, જોકે માતાપિતાનો બીજો વર્ગ ઓનલાઈન વર્ગો ચાલુ રાખવાની તરફેણમાં છે.
દેશમાં કોરોનાના કેસ વધારવા પાછળ ઓમિક્રોન વેરિયન્ટ
સાપ્તાહિક બ્રીફિંગમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને મહત્વની માહિતી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં હવે ઓમિક્રોન કોરોના સંક્રમણનો મુખ્ય વેરિયન્ટ છે અને હાલમાં દેશમાં ડેલ્ટાનો પણ પ્રકોપ ચાલુ છે. લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ BA.2 એ ભારતમાં હાલમાં મુખ્ય પ્રચલિત વેરિયન્ટ છે. તેમણે કહ્યું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશમાં કુલ પોઝિટિવીટી રેટ 17.75 ટકા રહ્યો છે. 11 રાજ્યોમાં 50,000 કોરોના કેસ છે અને 14 રાજ્યોમાં 10,000-50,000 એક્ટિવ કેસ અને 11 રાજ્યોમાં 10,000 એક્ટિવ કેસ છે.
દેશમાં ડેલ્ટાનો પ્રકોપ પણ ચાલુ
લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં ઓમિક્રોનની સાથે સાથે ડેલ્ટાનો પ્રકોપ પણ ચાલુ છે. હાલમાં દેશમાં કોરોના કેસ વધવા પાછળ મુખ્ય વેરિયન્ટ ઓમિક્રોન જ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલી વાર આવો ખુલાસો કર્યો છે. જે લોકો ઓમિક્રોન સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે તેમની કોરોનાના તમામ પ્રકારો સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ છે. આનો અર્થ એ થયો કે ભલે દેશમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા હોય, પરંતુ તે ડેલ્ટા જેવા ખતરનાક વેરિયન્ટ્સને પણ રોકી શકે છે. Omicron પ્રબળ વેરિયન્ટ તરીકે ડેલ્ટાને રિપ્લેસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ડેલ્ટાને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકે છે. ખરેખર, ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ ઘાતક હતો. આના કારણે ભારતમાં કોરોનાની વિનાશક બીજી લહેર આવી હતી.