મધ્યપ્રદેશની કમલનાથ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સને મોટી ભેટ આપી છે. મધ્ય પ્રદેશ મંત્રીમંડળની સોમવારે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં સોમવારે બેઠક યોજાઇ હતી. સરકાર તરફથી જાહેર એક પ્રેસ રિલીઝ અનુસાર, સોમવારે સાંજે મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશના સ્થાઇ કર્મચારીઓ-અધિકારીઓ, પંચાયત સચિવો, પેન્શનર્સ અને પેન્શનર્સ પરિવારોને સાતમાં પગાર પંચ અનુસાર મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે. નિવેદન અનુસાર, આ નિર્ણયથી સાત લાખ કર્મચારીઓ અને સાડા ચાર લાખ પેન્શનર્સને લાભ થશે. તેનાથી સરકાર પર 1647 કરોડ રૂપિયાનો વધારાનો વાર્ષિક ખર્ચનો ભાર પડશે. આ પહેલા બિહાર સરકારે પણ આ વર્ષે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કર્યો હતો.
આ પહેલા મોદી સરકારે પણ ચૂંટણીને ધ્યાનમાં લઇને કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી હતી. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણયથી સરકાર પર 9168 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે. તેથી કેન્દ્ર સરકારના 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનલાભકર્તાઓને ફાયદો પહોંચશે.