તાજેતરમાં જ સુત્રાપાડાના લાટી ગામે તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયા બાદ આજે ફરી સુત્રાપાડાના હરણાસા ગામેથી જથ્થો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે.
સૂત્રાપાડામાં ઝડપાયો સસ્તા અનાજનો જથ્થો
ચોખા અને તુવેર દાળનો જથ્થો મળ્યો
ટ્રેકટરમાં લઈ જવાતો હતો જથ્થો
ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી સરકારી અનાજનો અનધિકૃત જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ જથ્થાને સુત્રાપાડાના હરણાસા ગામેથી ટ્રેકટરમાં ભરી લોઢવા લઇ જવામાં આવતો હતો. પરંતુ તે લોકેશન પર પહોંચે તે પહેલા જ સુત્રાપાડા ગેટ પાસે પોલીસે ચેક કરતા સરકારી અનાજનું ભોપાળુ છતું થયું હતું. જેને પગલે પોલીસે 96 બોરી ચોખા અને 8 બોરી તુવેર દાળનો જથ્થો જપ્ત કરી સુત્રાપાડા મામલતદારને તપાસ સોંપી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે તપાસ બાદ થશે કૌભાંડનો પર્દાફાશ
આ અંગે સુત્રાપાડા નાયબ મામલતદારે જણાવ્યું હતું કે જે જથ્થો ઝડપાયો છે તેના પર FCIનો માર્કો છે જેના આધારે પ્રથમ દ્રષ્ટિએ અનાજ સરકારી હોવાનું સાબિત થાય છે. આ અંગે વધુ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા પણ સુત્રાપાડાના લાટી ગામે તળાવમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો તળાવમાં તરતો જોવા મળ્યો હતો જેની તપાસ હજુ પુરી નથી થઈ ત્યાં આ બીજો જથ્થો મળી આવતા ચર્ચા જાગી છે.
હરણાસા ગામથી ટ્રેકટરમાં ભરી લોઢવા લઇ જવાતો હતો જથ્થો
પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે કે આ જથ્થો સુત્રાપાડાના હરણાસા ગામેથી ટ્રેકટરમા ભરી લોઢવા લઇ જવામાં આવતો હતો. આ દરમિયાન પોલીસે ચેક કરતા દાળમાં કઈક કાળું લાગ્યું અને આ જથ્થો લઈ જનાર પાસે કોઈ જવાબ ન હતો આ જથ્થો સરકારી બોરી અને સિમ્બોલ વાળો હોવાના કારણેએ સાબિત થયું હતું કે જથ્થો સરકારી અનાજનો છે. ત્યારબાદ આ જથ્થો ગરબોને નહિ પણ લોઢવામાં બેઠેલા વેપારીને ઉંચા ભાવે વહેંચી દેવાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અનાજના નમૂના લઇ લેબમાં તપાસ અર્થે રવાના કરવામાં આવ્યા છે. આ મામલે ઊંડી તપાસ બાદ પ્રકરણના મૂળિયાં સુધી પહોંચવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામા આવી છે.