કોરોના મહામારી વચ્ચે IT, BPO સેકટર અને અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના કર્મચારીઓ હવે 31 ડિસેમ્બર સુધી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસીને કામ કરશે. ટેલિકોમ વિભાગે આ આદેશ જાહેર કર્યો છે. IT કંપનીઓમાં અંદાજે 90 ટકા કર્મચારી અત્યારે પણ ઘરેથી કામ કરી રહ્યાં છે.
આ સમયગાળો 31 જુલાઇના રોજ પુરો થઇ રહ્યો હતો. નેસકોમની અધ્યક્ષ દેબજાની ઘોષે કહ્યું, આ પ્રકારના નિર્ણયથી વેપાર પણ ચાલુ રહેશે અને કર્મચારીઓ પણ સુરક્ષિત રહેશે. કંપનીઓને બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં વધુ સારા કર્મચારીઓ શોધવાની તક પણ મળશે.
ટેલિકોમ વિભાગે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું, 'કોવિડ -19ને લઇને થતી વ્યાપક ચિંતાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ વિભાગે ઘરેથી કામ કરવાની સગવડ માટે સેવા પ્રદાતાઓ માટે નિયમો અને શરતોમાં છૂટછાટને 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. '
હાલના સમયમાં IT કંપનીઓમાં અંદાજે 85 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યાં છે માત્ર અતિ મહત્વપૂર્ણ કામકાજ કરનારા કર્મચારીઓ જ કાર્યાલય જઇ રહ્યાં છે. ભારતમાં કોરોના વાયરસના કેસ મંગળવારે 11.55 લાખનો આંકડો પાર કરી ચૂક્યાં છે, જ્યારે 28,084 લોકોના મૃત્યું થયા છે.