રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જ્યારે પણ સરકારી પરીક્ષાઓ યોજાય છે ત્યારે તેમાં ગેરરીતિનો મામલો સામે આવે છે. હાલ આ વર્ષના આંકડાને ધ્યાનમાં લઇએ તો આ વર્ષે રાજ્યમાં કુલ 4 ભરતી રદ્દ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત સરકારે કરવી પડી. આમ રાજ્યના યુવાનો ભવિષ્ય ફરી દાવ પર લાગ્યું છે, કારણ કે સરકાર હવે ફરી જ્યારે પણ પરીક્ષા જાહેર કરશે ત્યારે હાલમાં જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી કદાચ કોઇની ઉંમર જતી રહેશે તો તેના ભવિષ્યને લઇને કોણ જવાબદાર રહેશે.
રાજ્યમાં વર્ષમાં અત્યાર સુધી 4 ભરતી રદ કરાઇ
બિન સચિવાલય પરીક્ષા ત્રણ વખત રદ કરાઇ
ટાટની પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરાઇ હતી
LRDની પરીક્ષા પણ પેપર લીક થવાને કારણે રદ કરાઇ હતી
રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં 4 ભરતીઓ રદ કરાઇ છે. બિન સચિવાલયની પરીક્ષા 3 વખત રદ કરાઇ છે. જ્યારે ટાટની પરીક્ષા અને LRDની પરીક્ષા પણ પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. વિદ્યુત સહાયકોની ભરતી EWSના કારણે રદ કરાઇ હતી.
બિન સચિવાલ કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા 17 નવેમ્બરે 6 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. પરીક્ષામાં ગેરરીતિ સાબિત થતા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વાયરલ પેપર, CCTV ફૂટેજમાં જણાતી ગેરરીતિની તપાસ થઇ. ત્યારે ગેરરીતિ કરતા ઝડપાયેલા ઉમેદવારો સામે કાર્યવાહી થશે અને તેઓ 3 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે.
અત્યાર સુધી અલગ અલગ 4 FIR નોંધીને તપાસ હાથ ધરાઇ છે. બનાસકાંઠામાં 2, સુરેન્દ્રનગરમાં 1, ગીર સોમનાથમાં 1 ફરિયાદ થઇ છે. જ્યારે 27 જાન્યુઆરી 2019માં ટાટની પરીક્ષા લેવાઇ હતી પરંતુ પેપર લીક થવાના કારણે તે રદ કરાઇ હતી. તો LRDની પરીક્ષા જે 6 જાન્યુઆરીએ લેવાઇ હતી તે પણ પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી. જ્યારે EWSના કારણે વિદ્યુત સહાયકોની ભરતી રદ કરી દેવાઇ છે.