આજે રાજ્યભરમાંથી વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે એકત્રિત થયા છે. આથી, મેદાન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ મોરચો માંડ્યો
સત્યાગ્રહ છાવણી મેદાન પોલીસ છાવણીમાં ફેરવાયું
VCE કર્મચારીઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરાઇ
ગાંધીનગરમાં સરકાર સામે કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવશે. શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. આથી, સત્યાગ્રહ છાવણી મેદાન આજે પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
રાજ્યભરમાંથી વન રક્ષકો આજે ગાંધીનગર પહોંચ્યા
કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ મોરચો માંડતા આજે રાજ્યભરમાંથી વન રક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે. જેઓ ભરતી, બઢતી તેમજ નોકરીનો સમય ફિક્સ કરવા સહિત રજા પગારની માંગણી કરી રહ્યાં છે. તદુપરાંત નવ રક્ષક 2800 ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે જ્યારે વનપાલ 4200 ગ્રેડપેની માંગ કરી રહ્યાં છે.
ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો
નોંધનીય છે કે, રાજ્યના ચોથા વર્ગના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે. નિયમિત ભરતી અને જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને કર્મચારીઓ વિરોધ કરશે. 7માં પગારપંચના ભથ્થાનો લાભ અને વય નિવૃત્તિની ઉંમર વધારવાની માંગને લઇ તેઓ વિરોધ કરશે. આઉટ સોર્સના વર્ગ 4ના કર્મચારીને કાયમી કરવાની માંગ સાથે પણ તેઓ વિરોધ કરશે.
VCE કર્મચારીઓ પણ સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે એકત્રિત થયા
VCE કર્મચારીઓ પણ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે એકત્રિત થયા છે. VCE કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે અડગ છે. ત્યારે VCE કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
ત્રણ માંગણીઓ પર આરોગ્ય કર્મીઓ છેલ્લા 43 દિવસથી હડતાળ પર
એ સિવાય સરકાર દ્વારા રચાયેલી સમિતિની આજે ફરી આરોગ્ય કર્મચારીઓના આગેવાનો સાથે બેઠક થશે. મહત્વનું છે કે, ગત સપ્તાહે મળેલી સમિતિ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. ત્રણ માંગણીઓ પર આરોગ્ય કર્મીઓ છેલ્લા 43 દિવસથી હડતાળ પર છે.
નિવૃત્ત જવાનો સરકારને પોતાના મેડલ પરત કરશે
તદુપરાંત ગાંધીનગરમાં નિવૃત્ત જવાનો પણ પડતર પ્રશ્નોને લઇને વિરોધ કરશે. નિવૃત્ત જવાનો પોતાના મેડલ સરકારને પરત કરશે. મહત્વનું છે કે, નિવૃત્ત જવાનોએ રવિવારે રાજ્યપાલ સાથે પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેઓની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ થઈ હતી. ત્યારે હવે નિવૃત્ત જવાનો મેડલ પરત કરીને પોતાનો વિરોધ નોંધાવશે.
જાણો શું છે નિવૃત્ત જવાનોની માંગણી?
શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ