કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લઈ પાણીના બોર માટે મંજૂરી ફરજિયાત કરાઇ છે જેને ખેડૂતો આવકારી રહ્યા છે.
કેન્દ્ર સરકારના ભૂગર્ભ જળ ઉપયોગ નિયમનના નિર્ણયને આવકાર
દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલે નિર્ણયને આવકાર્યો
બેફામપણે બનતા બોર પર સરકારના નિર્ણયથી આવશે અંકુશ
કેન્દ્ર સરકારના ભૂગર્ભ જળ ઉપયોગ નિયમન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત કરાઇ છે અને આ માટે નાગરિકોએ રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે. આ નિર્ણયને ખેડૂતો આવકાર આપી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલે સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, છેલ્લા પંદર વર્ષ દરમિયાન ભૂગર્ભ જળના સ્તરમાં ચિંતાજનક ઘટાડો આવ્યો છે. બેફામપણે વધતાં જતા બોરને લઇને ભૂગર્ભ જળના અસ્તિત્વ પર જોખમ ઊભુ થાય તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ હતી. તેવા સંજોગો વચ્ચે હવે સરકારના આ નિર્ણયથી બોર પર અંકુશ આવશે.
સિંચાઈ માટે ખેડૂતો કૂવો ખોદતા હોય અથવા બોર કરતાં હોય તેમણે આ મંજૂરી પ્રક્રિયા લાગુ પડશે નહિ એટલે કે કૃષિ સિંચાઈ ક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે. જેને પગલે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પાણી મામલે સીધો ફાયદો થશે. તેમ કેન્દ્ર સરકારના નિર્ણયને ખેડૂત આગેવાન જયેશ પટેલે આવકાર આપ્યો હતો.
ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ માટે મંજૂરી ફરજિયાત
કેન્દ્ર સરકરના જળ સંપતિ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે જેના માટે નાગરિકોએ રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો , સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસે થી મંજૂરી અને NOC લેવી પડશે.આ નિર્ણય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. આ સાથે જેમને પહેલાથી જ બોરવેલ છે તેમણે પણ મંજૂરી મેળવવી પડશે.
સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ અપાઈ
સરકારે આ પોલિસી અંતર્ગત સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારની જળ સંપત્તિ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું જલ્દીથી અમલવારી થાય તે માટે તમામ મુખ્ય સચિવને પત્ર લખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય અંતર્ગત નાગરિકોને બોરવેલ અંગેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.