કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે ફરી એક વખત સ્પષ્ટતા કરી હતી કે દેશભરમાં ટ્રકો અને અન્ય માલવાહક ગાડીઓએ આવાગમન માટે પાસ કઢાવવાની જરૂર નથી. જો કે ડ્રાઈવર પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ હોય એ જરૂરી છે.
કોઈપણ ટ્રક પાસની જરૂરિયાત વિના ગમે ત્યાં લઇ જઈ શકે છે
ડ્રાઇવરો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તે જરૂરી
દરેક ટ્રકમાં એકને બદલે બે ડ્રાઇવરો રાખવાની અને એક હેલ્પર રાખવાની મંજૂરી
ખાલી ટ્રકની પણ હેરફેર માટે સંપૂર્ણ છૂટ
કેન્દ્ર સરકારે આજે ફરી સ્પષ્ટતા કરી છે કે દેશભરમાં ટ્રકોની હેરફેરની મંજૂરી છે અને કોઈ પણ રાજ્ય તેમને પસાર થતાં અટકાવી શકે નહીં. ગુરુવારે જારી કરેલા હુકમમાં ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ ઉલ્લેખ કર્યો છે કે 3 અને 12 એપ્રિલના રોજ આ સંદર્ભે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હોવા છતાં વિવિધ રાજ્યોમાં ટ્રકો અટકાવવાની ફરિયાદો આવી હતી.
તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ ટ્રક પાસની જરૂરિયાત વિના ગમે ત્યાં લઇ જઈ શકે છે, જો કે ડ્રાઇવરો પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોય તે જરૂરી છે. આ સાથે હવે દરેક ટ્રકમાં એકને બદલે બે ડ્રાઇવરો રાખવાની અને એક હેલ્પર રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ખાલી ટ્રકની પણ હેરફેર માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
દેશમાં જરૂરિયાતની વસ્તુઓના આવાગમન માટે ટ્રકની હેરફેર ચાલુ રહે તે ખૂબ જરૂરી: સરકાર
આ પરિપત્રમાં 3 અને 12 એપ્રિલના રોજ આ સંદર્ભે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા તે મુદ્દે જણાવ્યું છે કે દેશમાં જરૂરિયાતની વસ્તુઓના આવાગમન માટે ટ્રકની હેરફેર કોઈ રોક ટોક વગર ચાલુ રહે તે ખૂબ જરૂરી છે. ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના સ્થાનિક અધિકારીઓને કેન્દ્રના આ નિર્ણય અંગેની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવા અને ટ્રક અને અન્ય માલવાહકોની અવરજવર સરળતાથી થતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કોઈ અવરોધ ન ઉભો થાય તેની તાકીદ રાખવા જણાવ્યું છે.
3 એપ્રિલના પરિપત્રમાં જે સ્પષ્ટતા નહોતી કરાઈ એ વિષે સરકારે ખંડન કર્યું
નોંધનીય છે કે આ અંગે સરકાર જે 3 એપ્રિલના પરિપત્રની વાત કરે છે તેમાં એક ત્રુટી હતી. આ લેટરમાં સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના હોય તેવા માલવાહક વાહનોને પાસની જરૂર રહેશે કે નહીં તેમ સ્પષ્ટ નહોતું કર્યું. જો કે હવે તમામ માલવાહક વાહનોને છૂટ મળશે, તેમના ડ્રાઈવર પાસે લાઇસન્સ હોવું ફરજીયાત હશે અને એક ડ્રાઈવર અને એક હેલ્પર સાથે રાખી શકાશે એમ સ્પષ્ટ કરી દેવાયું છે.