દેશભરનાં મંદિરોએ છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારને માલામાલ કરી દીધી છે. આ વાત સ્વયં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે સંસદમાં કરી છે.
નાણાં મંત્રાલય દ્વારા સંસદને માહિતી આપવામાં આવ્યા મુજબ છેલ્લાં બે વર્ષમાં દેશભરના મંદિરો દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ ૧૦ ૮૭૨ કિલોગ્રામથી વધુ સોનું જમા કરાવવામાં આવ્યું છે. અત્યારે એક કિલો સોનાની કિંમત રૂ. ૩૧ લાખની આસપાસ છે.
તૃણમૂલના રાજ્યસભાના સભ્ય મોહંમદ ઇમામુલ હક્કે આ અંગે માહિતી માગી હતી. તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરનાં મંદિરો કંપનીઓ અને પેઢીઓ તરફથી છેલ્લા બે વર્ષમાં એટલે કે નાણાકી વર્ષ ૨૦૧૬-૧૭માં ૪ ૪૮૮.૪૪ કિલોગ્રામ અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬ ૩૮૩ કિલોગ્રામ સોનાનું રોકાણ કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલય દ્વારા સંસદને અપાયેલી માહિતી અનુસાર સામાન્ય લોકોએ પણ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ઉત્સાહભેર રોકાણ કર્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષમાં સામાન્ય લોકો તરફથી ૧ ૧૩૪ કિલો સોનાનું રોકાણ કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સ્કીમ દાખલ થયા બાદ દેશમાં સોનાની આયાતમાં ઘટાડો થયો છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ સ્કીમ હેઠળ જમા થયેલ સોનાનો પ્રયોગ સુવર્ણ ધાતુ ઋણ તરીકે ઉપયોગ કરાયા બાદ સોનાની આયાતમાં ઘટાડો થયો છે.
કેન્દ્રની મોદી સરકારે ઘર અને સંસ્થામાં જમા રહેલા સોનાને બહાર લાવવા અને તેના વધુ સારા ઉપયોગના હેતુથી ૨૦૧૫માં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની શરૂઆત કરી હતી.
૨૦૧૮માં આરબીઆઇએ આ યોજનામાં બદલાવ કરીને ડિપોઝિટની સમયાવધિ ૧ વર્ષ ૩ મહિના ૨ વર્ષ ૪ મહિના પાંચ દિવસ વગેરેનો વિકલ્પ આપ્યો હતો. આ સ્કીમમાં ૨.૨૫થી ૨.૫૦ ટકા સુધી વ્યાજ મળે છે.