ગાંધીનગર: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે આજે પાટીદાર સંસ્થાઓ સરકાર સાથે મુલાકાત કરી શકે છે. ગાંધીનગરમાં સરકાર સાથે બેઠક થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ PAASની ટીમ અને સંસ્થાઓ વચ્ચે પણ આજે બેઠકની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 18મો દિવસ છે. દવાખાનામાંથી રજા મળ્યા બાદ પાટીદાર અગ્રણી અને પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતાના સત્તાવાર નિવાસ સ્થાન ગ્રીનવુડ ખાતે ફરીવાર ઉપવાસ પર બેઠો છે. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક સરકાર સાથે યોજાવાના એંધાણ છે.
આપને જણાવી દઇએ કે પાટીદાર અગ્રણીઓની બેઠકની આગેવાની ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ લેવાના છે. જો આજરોજ સરકાર અને પાટીદાર સંસ્થાની બેઠક મળેતો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો સુખદ અંત કેવી રીતે આણવો તથા હાર્દિક પટેલની માગને કેવી રીતે અને કેટલા અંશે પૂર્ણ કરી શકાય તે અંગેની ચર્ચા અગ્ર સ્થાને રહેશે.
સતત 18 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા પાટીદાર અગ્રણી હાર્દિક પટેલને મળવા વિવિધ પક્ષના નેતાઓ એને કાર્યકરો આવી રહ્યા છે. આ સાથે જ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના પ્રમુખ અને અનેક પાટીદાર અગ્રણીઓ હાર્દિકને પારણા કરી લેવા સૂચન કરી રહ્યા છે.
તેમ છતાં હાર્દિક પટેલ પોતાના ઉપવાસ આંદોલન મામલે અડીખમ બેઠાં છે ત્યારે જોવું જ રહ્યું કે સરકાર અને પાટીદાર સંસ્થાઓ વચ્ચેની બેઠકને કેટલા અંશે સફળતા મળે છે.