કર્મચારીઓને તણાવમુક્ત રાખવા માટે બનાવાયેલી પાંચ મિનિટની એક્સર્સાઇઝ માટે સરકારી અને કોર્પોરેટ ઓફિસમાં યોગ બ્રેક લાગુ કરાયો છે. મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગે આયુષ મંત્રાલય હેઠળ આ વ્યાયામ કાર્યક્રમને ડિઝાઇન કર્યો છે, તેમાં યોગ નિષ્ણાતોની પણ સલાહ લેવાઇ છે.
૧૫ સંસ્થામાં ટ્રાયલ શરૂ કરાઈ
આયુષ મંત્રાલયે ટ્રાયલ તરીકે સોમવારે કોર્પોરેટ ઓફિસમાં યોગ બ્રેકનું લોન્ચિંગ કર્યું
આયુષ મંત્રાલયે આ યોગ બ્રેકને ટ્રાયલ તરીકે સોમવારે લોન્ચ કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે ટાટા કેમિકલ્સ, એક્સિસ બેન્ક જેવી ૧૫ સંસ્થાએ આ ટ્રાયલમાં ભાગ લીધો હતો.
પહેલા 30 મિનિટના બ્રેક માટે પ્રસ્તાવ મુકાયો હતો
આયુષ મંત્રાલયે પહેલાં મોકલેલા પ્રસ્તાવમાં સરકારી સંસ્થાઓ અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓને કહ્યું કે પોતાના ત્યાં આવશ્યક રીતે ૩૦ મિનિટનો યોગ બ્રેક આપે, જેથી કર્મચારીઓ તણાવમુક્ત થઇ શકે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાઓને આયુષ મંત્રાલયે આ અંગે પત્ર લખ્યો હતો.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે યોગ બ્રેક કે વાય બ્રેક યોગનો કોઇ કોર્સ નથી. આ તેનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. યોગ પર પ્રોટોકોલ તૈયાર કરવાની પ્રક્રિયા ૩ મહિના પહેલાં શરૂ થઇ હતી. યોગ નિષ્ણાતો અને નિયમિત યોગાભ્યાસ કરનારા ૧૦ લોકોના કોર ગ્રૂપે તેની રૂપરેખા તૈયાર કરી હતી.
આ અંગેની સહાયતા બુકલેટ પણ તૈયાર કરાઈ છે
અધિકારીએ કહ્યું કે કામ દરમિયાન યોગ્ય રીતે બેસવા માટે એક બુકલેટ તૈયાર કરાઇ હતી અને કોર્પોરેટ ઓફિસોમાં તેના પર આધારિત ફિલ્મ બતાવવાની પણ યોજના છે. તેની અસર તપાસવા ટ્રાયલ લેવાઇ છે. મંત્રાલય કોર્પોરટ ક્ષેત્રને આ અંગે તમામ જરૂરી સહાયતા આપશે.