જનતાને મોંઘવારીથી રાહત આપવા માટે મોદી સરકાર ઝડપથી નિર્ણયો લઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે ખાદ્ય તેલ પણ સસ્તું થશે, કારણ કે સરકાર તેના પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાંથી છૂટ આપવા જઈ રહી છે.
મોંઘવારી પર સરકારનો પ્રહાર
પેટ્રોલ ડીઝલ બાદ ખાદ્ય તેલ પણ સસ્તા થશે
આ કર હળવા કર્યા, ટૂંક સમયમાં બજારમાં દેખાશે અસર
જનતાને મોંઘવારીથી રાહત આપવા માટે મોદી સરકાર ઝડપથી નિર્ણયો લઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે ખાદ્ય તેલ પણ સસ્તું થશે, કારણ કે સરકાર તેના પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાંથી છૂટ આપવા જઈ રહી છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એક વર્ષમાં 20-20 લાખ મેટ્રિક ટન સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી વિના કરી શકાય છે. ઉદ્યોગપતિઓને 25 મે, 2022 થી 31 માર્ચ, 2024 સુધી આ છૂટ મળશે. સૂત્રોનું કહેવું છે કે, આયાત ડ્યૂટી અને સેસમાં આ ઘટાડાથી ગ્રાહકો માટે રસોઈ તેલ સસ્તું થશે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે દેશમાં ખાદ્યતેલના ભાવ છેલ્લા બે વર્ષમાં બમણાથી વધુ વધી ગયા છે.
કેટલો ટેક્સ કાપવામાં આવ્યો
સૂર્યમુખી અને સોયાબીન તેલના ભાવમાં ઘટાડો કરવા માટે સરકારે આ બંને તેલની આયાત પરની આયાત જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ સાથે, કૃષિ વિકાસ તરીકે વસૂલવામાં આવતા 5% સેસને પણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી આયાતી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે અને તેનો સીધો ફાયદો છૂટક બજારમાં ગ્રાહકોને પણ થશે.
60% તેલની આયાત
ભારત વિશ્વમાં ખાદ્ય તેલના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. અહીં ખાદ્યતેલની કુલ જરૂરિયાતના 60 ટકા બહારથી આયાત કરવામાં આવે છે. તેમાં પણ પામ તેલ અને સોયાબીનનો સૌથી વધુ હિસ્સો છે. રુસો-યુક્રેન યુદ્ધને કારણે, કાળા સમુદ્રના પ્રદેશમાંથી આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી અને દેશમાં ખાદ્ય તેલની કટોકટી હતી. આ જ કારણ છે કે, છેલ્લા કેટલાક સમયથી તેલની કિંમતો સતત વધી રહી છે. સરકારે હવે ટેક્સમાં ઘટાડો કરીને વેપારીઓની સાથે સામાન્ય જનતાને પણ મોટી રાહત આપી છે.
તેલ કેટલું સસ્તું થશે
સોલવન્ટ એક્સટ્રેક્ટર ઓફ ઈન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં ઘટાડો અને કૃષિ સેસ નાબૂદ કર્યા પછી છૂટક બજારમાં સોયાબીન તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો ઘટાડો થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 35 લાખ ટન સોયાબીન તેલની આયાત થવાની ધારણા છે, જેમાંથી 20 લાખ ટન આયાત જકાત મુક્ત રહેશે. એ જ રીતે, 16-18 લાખ ટન સૂર્યમુખી તેલની પણ આયાત કરી શકાય છે, જે સરકાર દ્વારા નિર્ધારિત ડ્યુટી ફ્રી મર્યાદા કરતાં ઓછી છે.