કોરોના વાયરસને લઈને હાલ સુધી દુનિયાભરમાં 3411 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ 31 કેસની પુષ્ટિ થઈ છે. એવામાં આરોગ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કહેવાયું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને સાથે જ કેન્દ્રની ઓફિસોમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને હાથ ન મિલાવવાની સૂચના આપવામાં આવી છે અને નમસ્તે કરવા જણાવવામાં આવ્યું છે.
કોરોનાને લઈને સરકારે જાહેર કરી એડવાઈઝરી
સભામાં ન જવાની અને હાથ ન મિલાવીને નમસ્કાર કરવાની સલાહ
કેન્દ્રની ઓફિસોમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ પર પ્રતિબંધ
કોરોનાને લઈ સરકાર એલર્ટ બની છે. આ ગંભીર રોગને લઈને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં તમામ રાજ્યો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી સામૂહિક સભામાં ન જવાની અને સાથે જ ભીડભાડવાળી જગ્યાએ પણ ન જવાની સૂચના આપવામાં આવી છે. સામૂહિક કાર્યક્રમો અંગે રાજ્યોને સૂચના આપતાં જણાવાયું છે કે સામૂહિક કાર્યક્રમો યોજાય તો રાજ્ય જરૂરી પગલા લે. દરેક રાજ્યો આયોજકોને કોરોનાને લઈ ગાઇડ કરે.
કેન્દ્રની ઓફિસોમાં લેવાયો આ મહત્વનો નિર્ણય
કોરોનાના કહેરથી બચવા માટે કેન્દ્રની ઓફિસમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ પર 31 માર્ચ સુધી બાયોમેટ્રિક એટેન્ડન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમનીમાં સામાન્ય લોકો નહીં જઈ શકે અને સાથે જ મિલિટરી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવા આદેશ આપવામાં આવ્યો છે.
કોરોના મુદ્દે દિલ્લી સરકારનો વધુ એક નિર્ણય
કોરોનાના જોખમને લઈને તમામ આંગણવાડી કેન્દ્રો 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ સરકારે આપ્યો છે. અન્ય તરફ ઓરિસ્સામાં કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગી ગયો હોવાને લઈને તંત્ર એલર્ટ થયું છે. આઈરીશ નાગરિકને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. દર્દી ભાગી જતા તંત્ર શોધખોળ માટે કામે લાગ્યું હતું. કટકમાં આઈરીશ નાગરિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.