ભારતની પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઇનું 94 વર્ષે નિધન થતાં સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દિલ્હી સ્થિત એઇમ્સમાં લાંબી સારવાર બાદ અટલ બિહારી વાજપાઇનું અવસાન થયું હતું.
તેમના નિધન બાદ દેશ-વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો કેટલાક રાષ્ટ્રોએ પોતાના રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ ફરકાવીને અટલજીને સન્માન પણ આપ્યું હતું. ત્યારે આજરોજ અમદાવાદ ખાતે પણ અટલજીની યાદમાં એક સર્વદળીય પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ.
અમદાવાદ ખાતે આવેલ GMDC મેદાનમાં દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતાઓએ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંગળવારની સાંજે યોજાયેલ સર્વદળીય પ્રાર્થનાસભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી.કોહલી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ શંકરસિંહ વાઘેલા સહિતાના દિગ્ગજ રાજકારણીઓ સંતો મંહતો અને RSS ના કાર્યકર્તાઓ GMDC ગ્રાઉન્ટ ખાતે ખાસ હાજર રહ્યા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાની શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે અટલજી સૌને પ્રિય હતા તેમના રાજકારણમાં તેઓ સૌને સાથે લઇને ચાલનારા હતા. તો રાજ્યપાલ ઓ.પી.કોહલીએ દિવંગત વડાપ્રધાન સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા એક પ્રસંગને યાદ કર્યો હતો અને કહ્યું કે અમે એક સ્થળે હાજર હતા જ્યાં મારાથી એક ભૂલ થઇ તે વાત અટલજીને ખબર પડતા તેમણે મને પાસે બોલાવીને કહ્યું કે આપણા સાથીઓને મનદુ:ખ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખીને કામ કરવું જોઇએ. આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી કેશુભાઇ પટેલે અટલજી સાથેના પોતાના વર્ષો જુના સંબંધને યાદ કર્યો હતો.
કેશુભાઇએ ટ્રેઇનમાં થર્ડ ક્લાસ ડબ્બાના પ્રસંગને યાદ કર્યો હતો જેમાં તેમણે અને અટલજીએ સવારી કરી હતી. આ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શોક સંદેશ પાઠવીને અટલજીને યાદ કર્યા હતા. દિગ્ગજ નેતાઓની હાજરીમાં યોજાયેલ પ્રાર્થનાસભામાં અટલજીની કવિતાઓને પણ યાદ કરવામાં આવી હતી.
આ સાથે કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ અટલજીને યાદ કરતા કહ્યું કે તેઓ અખંડ ભારતના હિમાયતી હતા. આ સાથે એક સંતે અટલજીને યાદ કરતા કહ્યું કે અટલજી દરેક ઋતુથી ઘડાયેલા અને દરેક ઋતુ માટે ઘડાયેલા હતા. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું મંત્રી મંડળ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આઇ.કે.જાડેજા સહિત અનેક નામી-અનામી ચહેરાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.