રૂપાણીનાં રાજીનામાંની ખબર સૌથી પહેલા આપનાર કિરીટ ગણાત્રાએ આગામી CMને લઈને ખૂબ મોટો દાવો કર્યો છે.
વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું
ગોરધન ઝડફિયા બની શકે છે CM : ગણાત્રા
માંડવીયાને પણ મળી શકે છે જવાબદારી : ગણાત્રા
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે તેવી જાણકારી સૌથી પહેલા અકિલાએ આપ્યા હતા. ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ અકિલાનાં માલિક કિરીટ ભાઈ ગણાત્રાએ ખૂબ મોટો ધડાકો કર્યો છે. ગણાત્રા પાસે આવેલ માહિતી અનુસાર હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
માંડવીયા પણ રેસમાં ખૂબ આગળ : ગણાત્રા
કિરીટભાઈ ગણાત્રાએ વધુમાં કહ્યું હતું કે મનસુખ માંડવીયા પણ પ્રબળ દાવેદાર છે પરંતુ તેમને દિલ્હીમાં મોટી જવાબદારી આપી દેવામાં આવી છે. એવામાં PM મોદી માંડવીયા અને ઝડફિયાને કમાન સોંપશે તેવી શક્યતાઓ છે.
બીજા ઘણા બધા નામો આગળ
નોંધનીય છે કે આ બે નામો સિવાય ગુજરાતમાં ઘણા બધા ભાજપનાં ચહેરાઓ છે જે આગામી સમયમાં મુખ્યમંત્રી બની શકે છે. નીતિન પટેલ, પ્રદીપ સિંહ જાડેજા અને પાટિલ પણ ત્રણ મોટા ચહેરાઓ છે જેમને જવાબદારી સોંપવામા આવી શકે છે.
ફેસ તો મોદી જ છે : રૂપાણી
વિજય રૂપાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બાદ રાજ્યમાં ભાજપનો ચહેરો કોણ હશે તો તેના પર તેમણે કહ્યું કે ફેસ તો મોદીનો જ છે અને તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે હું હવે પાર્ટી મને જે જવાબદારી આપશે તે નિભાવીશ. રૂપાણીએ કહ્યું કે મેં રાજીખુશીથી જ રાજીનામું આપ્યું છે.
મને જે જવાબદારી મળશે તે નિભાવીશ : રૂપાણી
વિજય રૂપાણીએ કહ્યું કે મને પાંચ વર્ષમાં જે મને સેવા કરવાનો અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. તેમણે કહ્યું કે વિકાસ યાત્રા પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં જ નવા ઉત્સાહ સાથે આગળ વધે તે માટે પોતાના પદ પરથી હું રાજીનામું આપી રહ્યો છું. સંગઠન અને વિચારધારા આધારિત દળ હોવાના કારણે જે પણ કામ પાર્ટી દ્વારા આપવામાં આવશે તેણે હું નિભાવીશ.
રાજીનામું આપતી વખતે રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું.આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું. આગામી સમયગાળામાં સંગઠન દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે હું સુપેરે નિભાવિશ.
પાર્ટી નક્કી કરશે મુખ્યમંત્રી : રૂપાણી
વિજય રૂપાણી રાજીનામાં બાદ કહ્યું હતું કે ભાજપમાં વિકાસ જ મુખ્ય ચહેરો છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં વિકાસનાં કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમણે કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.