શરદ પવાર અને ફારુક અબ્દુલા બાદ હવે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીએ રાષ્ટ્રપતિના વિપક્ષના ઉમેદવાર બનવાનો ઈન્કાર કરી દીધો છે.
18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી
વિપક્ષને હજુ સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મળ્યાં નથી
હવે ગોપાલકૃષ્ણ ગાંધીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
શરદ પવાર અને ફારુક અબ્દુલા ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે
18 જુલાઈએ થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો ધમધમાટ શરુ થયો છે. આ સંદર્ભમાં મમતા બેનરજી વિપક્ષની મોટી બેઠક કરી ચૂક્યા છે. શાસક પાર્ટીએ પણ હજુ સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા નથી તો બીજી તરફ વિપક્ષને પણ કોઈ ચહેરો હજુ સુધી મળી રહ્યો નથી.
મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે સંયુક્ત વિપક્ષ દ્વારા તેમના નામની ઓફર માટે તેઓ આભારી છે. પરંતુ હું ચૂંટણી લડી શકું તેમ નથી. વિપક્ષે બીજા કોઈ સારા ઉમેદવાર શોધવા જોઈએ.
વિપક્ષનો ચહેરો કોણ હશે, કાલે બેઠક
કેટલાક વિપક્ષી નેતાઓએ ગોપાલ કૃષ્ણ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ઓફર કરી હતી. આ પહેલા 2017માં વિપક્ષે પણ તેમને વેંકૈયા નાયડુ સામે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગોપાલ કૃષ્ણ ગાંધી ભૂતકાળમાં રાજદ્વારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ તેમણે 2004થી 2009 સુધી સેવા આપી હતી. એટલું જ નહીં, તેઓ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લાએ પણ કર્યો ઈનકાર
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર વિપક્ષ વચ્ચે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી. ગત સપ્તાહે મમતા બેનરજીએ આ મુદ્દે દિલ્હીમાં વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત 17 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેટલાક નેતાઓએ એનસીપી નેતા શરદ પવારને ચૂંટણીમાં ઉતારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે તેઓ અત્યારે સક્રિય રાજકારણમાં રહેવા માંગે છે. તેમના સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ આ વાતનો ઈનકાર કર્યો છે. આવી સ્થિતિમાં ગોપાલ કૃષ્ણ ગાંધીના નામની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ હવે તેમના તરફથી પણ ઈન્કાર થયા બાદ વિપક્ષે એક નવો ચહેરો જોવો પડશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને શરદ પવારે મંગળવારે દિલ્હીમાં વિપક્ષની બેઠક બોલાવી છે.