ગૂગલની બેંગલુરુ સ્થિત ઓફિસમાં એક કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે. ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ગૂગલે આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. શુક્રવારે આ વાતની પુષ્ટિ કરતા ગૂગલના એક અધિકારીએ કહ્યું, અમારા બેંગલુરુ સ્થિત ગૂગલ ઓફિસના એક કર્મચારીમાં કોરોના વાયરસની તપાસ પોઝિટિવ આવી છે. જેથી અમે બેંગલુરુ ઓફિસના કર્માચારીઓને ઘરેથી જ કામ કરવાનું કહી દીધું છે. અમે સ્થાનિક આરોગ્ય અધિકારીઓની સલાહ મુજબ તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છીએ.
કોરોના વાયરસનો કહેર યથાવત્
Googleનો કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત
ગૂગલે ઓફિસના બધાં કર્માચારીઓને ઘરેથી કામ કરવાની આપી સલાહ
ગૂગલે કર્મચારીઓને કહ્યું કે, જે કોઈ પણ સ્ટાફના સંપર્કમાં આવ્યું છે તે લોકો તાત્કાલિક પોતાને અલગ કરી દે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. દેશમાં કોરોના વાયરસના કહેરને જોતાં ગૂગલ સહિત વિપ્રો, ટેક મહિન્દ્રાએ પણ રિમોટ વર્ક મોડેલ અપનાવ્યું છે.
Google: Out of an abundance of caution, we are asking employees in that Bengaluru office to work from home from tomorrow. We have taken & will continue to take necessary precautionary measures, following the advice of public health officials. https://t.co/RJo2FIkRwm
અગાઉ માઇન્ડટ્રી અને ડેલ કર્મચારીઓમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યું હતું. હાલ કર્ણાટકમાં કોરોના વાયરસના 6 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં બે દિવસ પહેલાં એકનું મોત નીપજ્યું છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું છે કે, કર્ણાટક કલબુર્ગીનો રહેવાસી 76 વર્ષીય એક શખ્સનું કોરોના વાયરસને કારણે મોત નીપજ્યું છે. જે શંકાસ્પદ COVID-19નો દર્દી હતો. ભારતમાં કોરોના વાયરસના 13 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. જેમાંથી 17 વિદેશી નાગરિક છે.
જે રીતે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ધ્યાનમાં લેતા, કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણાં સાવચેતી પગલા લીધા છે. દિલ્હી, કેરળ અને હરિયાણા સરકારે કોરોના વાયરસના ચેપને મહામારી જાહેર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે આદેશ આપ્યો છે કે, અહીંની તમામ શાળાઓ, કોલેજો અને સિનેમાઘર 31 માર્ચ સુધીમાં બંધ કરી દેવાયા છે. હવે વિશ્વમાં અત્યાર સુધીમાં 127,000થી વધુ લોકોને COVID-19થી ચેપ લાગ્યો છે.